Site icon Gujarat Mirror

ગોંડલમાં ભાજપની દાદાગીરીના આરોપો પર મનસુખભાઇ સખીયાનો પલટવાર

ગોંડલ નગરપાલિકા અને તાલુકા પંચાયતની ચૂંટણીના માહોલ વચ્ચે રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ દ્વારા ભાજપના આગેવાનો પર ‘દાદાગીરી’ અને ‘ગુંડાગીરી’ કરી ફોર્મ ખેંચાવવાના આક્ષેપો કોંગ્રેસ દ્વારા કરાયા હતા.કોંગ્રેસ નાં આગેવાન યતિષભાઈ દેસાઈ એ વિડીયો વાયરલ કરી કહ્યુ કે કોંગ્રેસ નાં ઉમેદવારો નાં ટેકો અને દરખાસ્ત કરનારા કાર્યકરોને ભાજપ નાં ગુંડાઓ દબાણ કરી ટેકો દરખાસ્ત પરત ખેંચવા ગુંડાગીરી કરી રહ્યા છે.તેમણે કહ્યુ કે આવી દાદાગીરી થી કોંગ્રેસ ડરવાની નથી.

બીજી બાજુ યતિષભાઈ દેસાઈને ભાજપનાં પૂર્વ પાલિકા પ્રમુખ મનસુખભાઈ સખીયા એ જવાબ આપ્યો છે. તેઓએ જણાવ્યું કે, મીડિયા દ્વારા જે અફવાઓ ફેલાવવામાં આવી રહી છે કે ભાજપના આગેવાનો દબાણ કરી રહ્યા છે, તે તદ્દન પાયાવિહોણી છે.

કોંગ્રેસ પર તેમણે કટાક્ષ કરતા કહ્યું કે, કોંગ્રેસ પાસે પૂરતા ઉમેદવારો જ નથી. જ્યારે કોઈ પક્ષને ઉમેદવાર ન મળે અને બેઠક બિનહરીફ થાય, ત્યારે પોતાની નિષ્ફળતા છુપાવવા માટે આવા ગંભીર આરોપો લગાવવામાં આવે છે. તેઓએ ઉમેર્યું કે, “લોકશાહીમાં દરેકને ચૂંટણી લડવાનો અધિકાર છે. જો કોઈ સ્વૈચ્છિક રીતે ફોર્મ પાછું ખેંચે તો તેમાં ભાજપનો કોઈ વાંક નથી.

ચૂંટણી લડશે ત્યારે જ ખબર પડશે કે કોનું કેટલું ગજું છે.” તેમણે આત્મવિશ્વાસ સાથે જણાવ્યું કે, ગોંડલ શહેર અને તાલુકાનું વાતાવરણ અત્યારે સંપૂર્ણપણે ‘ભાજપમય’ છે. આગામી 28 તારીખે જ્યારે પરિણામ આવશે, ત્યારે ગોંડલ નગરપાલિકાની તમામ 44 અને તાલુકા પંચાયતની તમામ 22 બેઠકો પર ભાજપનો વિજય થશે.તેવું જણાવ્યું હતું.

Exit mobile version