લાઠી તાલુકાના કૃષ્ણગઢ ગામની સીમમાં આજે સવારે એક યુવાન ઘરની પાછળની બાજુ લઘુશંકા કરવા ગયો હતો. ત્યારે એક સિંહે પાછળથી હુમલો કરી ગંભીર રીતે ઘાયલ કરી દેતા આ યુવકને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો છે. યુવાન પર સિંહના હુમલાની આ ઘટના સવારે આઠેક વાગ્યાના સુમારે લીલીયા તાલુકાના કૃષ્ણગઢ ગામે બની હતી. મુળ કૃષ્ણગઢના વતની અને હાલમાં સૂરતમાં રહેતા હરેશભાઈ ભીમજીભાઈ ચૂડાસમાં (ઉ.વ.45) નામના યુવાન પર સિંહે હુમલો કર્યો હતો. હરેશભાઈ સવારના સમયે ઘરની પાછળની બાજુ લઘુશંકા કરવા માટે ગયા હતા. તે સમયે અચાનક પાછળથી સિંહ ધસી આવ્યો હતો અને તેમના પગ અને સાથળના ભાગે બટકા ભરી ગંભીર ઈજા પહોંચાડી હતી.
જો કે હુમલો કર્યા બાદ સિંહ નાસી ગયો હતો. હરેશભાઈ ચૂડાસમાંને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અગાઉ લાઠીના લુવારીયામાં સિંહે એક યુવાનને ફાડી ખાદ્યો હતો. હરેશભાઈ પર હુમલો કરનાર સિંહ આ જ હોવાનું માનવામાં આવે છે.

