Site icon Gujarat Mirror

ગાંધીજીના ‘રઘુપતિ રાજા રામ’ ભજનને રાષ્ટ્રગાન કહેતા કંગના પર પસ્તાળ

કેન્દ્ર સરકારે મનરેગા (મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ)ની જગ્યાએ વિકસિત ભારત- રોજગાર અને આજીવિકા માટે ગેરંટી મિશન (VB-G RAM G) લાવવાનો પ્રસ્તાવ લોકસભા મૂકતાં આજે ભારે હંગામો થયો હતો. કોંગ્રેસ સહિત વિપક્ષી પક્ષોએ ભાજપ દ્વારા નામ બદલવાને ગાંધીજીનું અપમાન ગણાવીને ટીકા કરી હતી ત્યારે ભાજપ સાંસદ કંગના રનૌતે વિપક્ષી પાર્ટીના આરોપોનો જવાબ આપવામાં ’રઘુપતિ રાઘવ રાજા રામ’ ને રાષ્ટ્રગાન કહી દેતા વિપક્ષના નેતાઓએ ટ્રોલ કરી છે.

મહત્વનું છે કે ચર્ચા બાદ સંસદની બહાર મીડિયા દ્વારા સવાલ કરવામાં આવ્યો હતો. જેના જવાબમાં સાંસદએ કહ્યું હતું કે ’મનરેગાનું ’જી રામ જી’નું નામ બદલવાથી ગાંધીજીનું અપમાન કેવી રીતે થઈ શકે? મહાત્માજીએ શ્રી રામ, રઘુપતિ રાઘવ રાજા રામ વિશે રાષ્ટ્રગાન બનાવ્યું. આ સાથે તેમણે સમગ્ર દેશને એક કર્યો. તો, આ મહાત્મા ગાંધીજીનું અપમાન કેવી રીતે થઈ શકે? સરકાર ગાંધીજીનું જ સ્વપ્ન પૂર્ણ કરવા માટે રામના નામ પર રાખી રહી છે.’કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનાતે ટ્વિટ કરીને વીડિયો શેર કર્યો. તેમણે લખ્યું, આજે આપણે નવું રાષ્ટ્રગાન પણ શોધી કાઢ્યું છે! ભાજપ મહાન વ્યક્તિઓથી ભરેલો છે.

ટ્વિટર પર બીજા એક યુઝરે કટાક્ષમાં લખ્યું છે કે ’કંગનાજી, તમે અમને કહેવાનું ભૂલી ગયા કે આ રાષ્ટ્રગાન બાપુએ 2014માં દેશને આઝાદી મળ્યા પછી રચ્યું હતું.’ બીજા એક યુઝરે લખ્યું, ’તેઓ એવા લોકોને શોધે છે જેઓ વોટ્સએપ સંદેશાઓ ફોરવર્ડ કરતી વખતે પોતાના મગજનો ઉપયોગ કરતા નથી.

Exit mobile version