Site icon Gujarat Mirror

કલ્યાણપુર: ગોરાણાના વેપારી સાથે શેરબજારમાં રોકાણના નામે 16 લાખની ઠગાઈ

છેતરપિંડી-વિશ્ર્વાસઘાતની કલમ હેઠળ ફરિયાદ : આરોપીને સકંજામાં લેવા તજવીજ

કલ્યાણપુર તાલુકાના ગોરાણા ગામે રહેતા કારૂૂભાઈ કેશુભાઈ ગોરાણીયા નામના 43 વર્ષના વેપારી યુવાન સાથે પોરબંદર તાલુકાના સીમર ગામે રહેતા રાજશી હાદાભાઈ ઓડેદરા નામના શખ્સએ સંપર્ક કેળવી, અને તેમને શેરબજારમાં રોકાણ કરીને વધુ નફો કરાવી આપવાની લાલચ આપી હતી.

આરોપી દ્વારા ફરિયાદ કાળુભાઈ પાસેથી તા. 4 જૂન 2024 થી તા. 29 ડિસેમ્બર 2024 ના સમયગાળા દરમિયાન રૂૂપિયા 15 લાખ 95 હજારની રકમ મેળવી અને શેર બજારમાં રોકાણ કરવાના બદલે આ રકમ આરોપી પોતાના અંગત વપરાશમાં લઈ લીધી હતી.
આ પછી આરોપીએ ફરિયાદી કારૂૂભાઈના પૈસા તેમને પરત ન આપીને તેમની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી હતી. ઉપરોક્ત બનાવ અંગે ગોરાણા ગામના કારૂૂભાઈ ગોરાણીયાની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે સીમર ગામના આરોપી રાજશી ઓડેદરા સામે બી.એન.એસ.ની કલમ 316 અને 318 (4) મુજબ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. વી.આર. શુક્લ દ્વારા હાથ ધરવામાં આવી છે.

Exit mobile version