Connect with us

ગુજરાત

જલ્સા કર બાપુ જલ્સા કર, પાસપોર્ટ માટે નવ માસમાં રેકોર્ડબ્રેક 7 લાખ અરજી

Published

on

કોરોના કાળની સરખામણીમાં ભારે ઉછાળો, વિદેશ ભણવા ઉપરાંત હરવા-ફરવા જવાનો ક્રેઝ પણ વધ્યો, અપૂરતા સ્ટાફથી ઓફિસ ઉપર ભારણ વધ્યું

આજકાલ ઘણાં લોકો વિદેશ જઈ રહ્યા છે. રોજેરોજ તમને સાંભળવા મળતું હશે કે તમારા પાડોશી, મિત્ર કે સંબંધીના ઘરેથી કોઈને વિદેશના વિઝા મળ્યા હોય અને તે ભણવા કે કામ માટે જઈ રહ્યા હોય. વિદેશ જવા માટે પાસપોર્ટ અગત્યનો ટ્રાવેલ ડોક્યુમેન્ટ છે. અમદાવાદમાં પાસપોર્ટ કઢાવનારાઓની સંખ્યામાં ભારે ઉછાળો આવ્યો છે. ચાલુ વર્ષે રિજનલ પાસપોર્ટ ઓફિસમાં આવેલી અરજીઓમાં નોંધપાત્ર વધારો થયો છે. સપ્ટેમ્બર 2023 સુધીમાં રેકોર્ડ બ્રેકિંગ 7 લાખ અરજીઓ પાસપોર્ટ માટે આવી હતી. જે ગત વર્ષના આ જ સમયગાળાની સરખામણીમાં 50 ટકા વધારે છે. ઘણાં લોકો આ વધારાને વિદેશ અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓની સંખ્યા સાથે સાંકળી રહ્યા છે. કોરોના મહામારી પછી દુનિયા ફરવાની તેમજ વિદેશમાં જઈને અભ્યાસ કરવાની મહત્વાકાંક્ષા વધી છે.

પાસપોર્ટની અરજીમાં થયેલા વધારા અંગે વાત કરતાં રિજનલ પાસપોર્ટ ઓફિસર વરેન મિશ્રાએ વિદેશમાં અભ્યાસ કરવા જવાની વિદ્યાર્થીઓની ઝંખના આ વધારાનું મુખ્ય કારણ છે. આ સિવાય ઘણાં લોકોને વર્ષ 2021-22માં પાસપોર્ટ નહોતો મળી શક્યો એટલે ચાલુ વર્ષે અરજીઓના ઓવરફ્લોનું એક કારણ આ પણ છે.

અરજીઓના ઓવરફ્લોનો નિકાલ કરવો રિજનલ પાસપોર્ટ ઓફિસ માટે પડકારરૂૂપ પણ રહ્યો. પાસપોર્ટ અરજીઓનો ભરાવો થતાં થોડા સમય માટે તો અપોઈન્ટમેન્ટ મળવાનો સમયગાળો 45 દિવસનો થઈ ગયો હતો. જેના કારણે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. જોકે, હાલ અપોઈન્ટમેન્ટ માટે વેઈટિંગ પીરિયડ 1 મહિનાનો છે.

ગુલબાઈ ટેકરા સ્થિત રિજનલ પાસપોર્ટ ઓફિસ તરફથી પ્રાપ્ત થયેલી માહિતી પરથી મહત્વનો ટ્રેન્ડ છતો થઈ રહ્યો છે. 2019માં એટલે કે કોરોના કાળ પહેલાના વર્ષમાં 6,91,794 અરજીઓ પાસપોર્ટ માટે આવી હતી. હવે વર્તમાનમાં એટલે કે સપ્ટેમ્બર 2023માં આંકડો 7 લાખને પાર થઈ ગયો છે. આ જ પ્રકારે માસિક તફાવત પણ જોવા મળે છે. 2019માં પાસપોર્ટની દર મહિને 60 હજાર જેટલી અરજીઓ આવતી હતી. બાદમાં કોરોના કાળ દરમિયાન પાસપોર્ટ અરજીઓમાં ભારે ઘટાડો નોંધાયો હતો. હવે સ્થિતિ સામાન્ય થઈ ગઈ છે ત્યારે ચાલુ વર્ષે દર મહિને 83 હજાર જેટલી પાસપોર્ટ અરજીઓ આવી છે. અહીં નોંધવા જેવી બાબત એ છે કે, 2019માં આખા વર્ષની મળીને કુલ 6,91,794 અરજી આવી હતી. જ્યારે ચાલુ વર્ષે સપ્ટેમ્બર સુધીમાં જ આંકડો 7 લાખને વટાવી ગયો છે, એવામાં વર્ષ પૂર્ણ થતાં સુધીમાં નવો ઓલટાઈમ હાઈ રેકોર્ડ સ્થપાય તો નવાઈ નહીં.

રિજનલ પાસપોર્ટમાં સ્ટાફની અછત તેમજ મોટી સંખ્યામાં અરજીઓ આવવાના લીધે આ બેકલોગ સર્જાયો હોવાનું કહેવાઈ રહ્યું છે. રિજનલ પાસપોર્ટ ઓફિસમાં સ્ટાફની 40 ટકા ઘટ છે. મંજૂર થયેલી 138 જગ્યાઓની સામે 75-80 કર્મચારીઓનો જ સ્ટાફ કામ કરી રહ્યો છે. સ્ટાફની અછત હોય એટલે કામ પૂરું થવામાં વાર લાગવાની તે સ્વાભાવિક છે. અરજીઓના ભરાવાના લીધે અગાઉ તત્કાલ સર્વિસમાં પણ 7થી10 દિવસનો સમય લાગતો હતો. જોકે, હવે તત્કાલ અપોઈન્ટમેન્ટ બીજા જ દિવસે મળી જાય છે.

સ્ટાફની તંગીના લીધે અરજી પ્રોસેસ થવામાં વિલંબ થઈ રહ્યો છે તેમ છતાં લોકોને વધુ તકલીફ ના પડે એ માટે ટીમ સતત પ્રયત્નશીલ છે. અરજીઓના ભારે ધસારા વચ્ચે પણ અમે 40 હજાર જેટલી ફાઈલ્સ પ્રોસેસ કરી દીધી છે. કેટલાય મહિનાઓથી શનિવારે પણ કામ ચાલુ રાખ્યું છે. ગ્રાન્ટિંગ ઓફિસરની તંગી છે તેમ છતાં અમે વીકએન્ડ દરમિયાન બહારથી અધિકારીઓને અહીં બોલાવીને કામ પૂરું કરાવી રહ્યા છીએ. પોસ્ટ ઓફિસોમાં ગ્રાન્ટિંગ ઓફિસરોની તંગી હોવાને લીધે પણ તકલીફ પડી રહી છે પરંતુ વધુ અધિકારીઓ મળી રહે તે માટે અમે મંત્રાલય સાથે વાત કરી છે. અમે માઈક્રો લેવલ પર વ્યૂહરચના તૈયાર કરી રહ્યા છીએ. તેના લીધે વેઈટિંગ ટાઈમ જલ્દી જ ઘટી જશે તેવી આશા છે.

ગુજરાત

સ્વાતિ પાર્કમાં કામધંધો ન ચાલતા આર્થિક ભીંસથી કંટાળી ઈલેક્ટ્રિકના વેપારીનો આપઘાત

Published

on

By

પરિવારજનો લગ્ન પ્રસંગમાં ગયા બાદ ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું : એક પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી

શહેરમાં આર્થિક ભીંસથી કંટાળી આપઘાત કરી લેવાના બનાવો બની રહ્યાં છે ત્યારે આવો જ એક વધુ બનાવ સામે આવ્યો છે. જેમાં કોઠારીયા વિસ્તારમાં આવેલા સ્વાતિપાર્કમાં રહેતા ઈલેકટ્રીકના વેપારીએ કામ ધંધો ન ચાલતાં આર્થિક ભીંસથી કંટાળી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. પરિવારજનો લગ્ન પ્રસંગમાં ગયા હતાં ત્યારે પાછળથી આ પગલું ભરી લીધું હતું. આ બનાવથી એકની એક પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી દેતાં અરેરાટી ફેલાઈ જવા પામી છે.

જાણવા મળતી વિગત મુજબ, કોઠારીયા રોડ પર આવેલા સ્વાતિ પાર્ક શેરી નં.2માં રહેતા ધવલ રાજુભાઈ કોઠારી (ઉ.27) નામના યુવાને ગઈકાલે રાત્રે 11 વાગ્યાના અરસામાં પોતાના ઘરે પંખા સાથે કપડુ બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. 108ના ઈએમટી કરણભાઈએ જોઈ તપાસી મરણ જાહેર કરી પોલીસને જાણ કરતાં આજી ડેમ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રભાઈ પરમાર સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પી.એમ.અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

પ્રાથમિક તપાસમાં મૃતક ધવલ એક બહેનનો એકનો એક મોટો ભાઈ હોવાનું અને તેને સંતાનમાં એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. મૃતક ધવલે આઠેક મહિના પહેલા ઈલેકટ્રીકની દુકાન કરી હોય પરંતુ કામધંધો ચાલતો ન હોવાથી આર્થિક ભીંસ અનુભવતો હોય જેથી કંટાળી ગઈકાલે પત્ની અને પુત્રી માવતરે આંટો મારવા ગયા હોય અને અન્ય પરિવારજનો સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગ હોવાથી ત્યાં હતાં. ત્યારે આ પગલું ભરી લીધું હતું. પરિવારજનો લગ્નમાંથી પરત ઘરે આવતાં દરવાજો ખખડાવ્યો હતો. પરંતુ ધવલ દરવાજો ખોલતો ન હોય જેથી દરવાજો તોડતા તેનો લટકતો મૃતદેહ જોઈ પરિવારજનો હતપ્રભ બની ગયા હતાં. આ બનાવથી માસુમ પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી દેતાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.

Continue Reading

ગુજરાત

કૂવામાં પાણી જોવા ગયેલી યુવતીને કાળ ખેંચી ગયો

Published

on

By

વહેલી સવારે યુવતી બહેન સાથે વાડીએ પાણી વાળવા જતા પાણી બંધ થતા કૂવામાં જોવા ગઇને અંદર પડી

જામનગર રોડ પર ન્યારા ગામ પાસે આવેલી વાડીમાં પાણી વાળતી વખતે અકસ્માતે કુવામાં પડી જતા પરપ્રાંતીય યુવતીનું મોત નિપજતા પરિવારમાં અરેરાટી મચી ગઇ છે. આ બનાવમાં જ્યારે તેની બહેન કુવામાં જોવા ગઈ ત્યારે બહેન કૂવામાં પડી ગઈ હોવાનું માલુમ પડ્યું હતું.બાદમાં ફાયર બ્રિગેડના સ્ટાફે ચાર કલાકની જહેમત બહાર યુવતીનો મૃતદેહ બહાર કઢાયો હતો.

વધુ વિગત મુજબ,મુળ મધ્યપ્રદેશ હાલ રાજકોટ જામનગર રોડ પર ન્યારા ગામ પાસે જેઠુરભાઇ રાઠોડની વાડીએ મજુરીકામ કરતા પરિવારની કરમા જેમલભાઇ વાસકડીયા(ઉ.વ.20) આજે વહેલી સવારે તેની બહેન સવીતા સાથે વાડીમાં પાણી વાળવા માટે ગઇ હતી.કુવાની મોટર ચાલુ કરતા નળીમાં પાણી આવતુ ન હોઇ તેથી કરમા કુવા પાસે જતા તેમનો પગ લપસી જતા કૂવામાં પડી ગઇ હતી.બાદમાં બહેન કરમાનો અવાજ સાંભળી બહેન સવીતા કુવા પાસે આવીને જોતા કરમા કુવામાં પડી ગઇ હોવાની ખબર પડતા દેકારો કરી મુકતા ત્યાં પરિવારજનો દોડી આવ્યા હતા.

બાદમાં બનાવ અંગે કોઇએ ફાયરબ્રિગેડને જાણ કરતા રેલનગર ફાયરબ્રિગેડ સ્ટેશનના ફાયરમેન વનરાજસિંહ પરમાર તથા વિજયભાઇ, રાહુલભાઇ મુનીયા અને રાજેશભાઇ આંબલીયા સહિતે ઘટના સ્થળે પહોંચી ચાર કલાકની જહેમત બાદ યુવતીને બેભાન હાલતમાં કુવામાંથી બહાર કાઢી હતી. બાદ 108 માં જાણ કરતા 108ની ટીમ સ્થળ પર પહોંચી તપાસ કરી તબીબે યુવતીને મૃતજાહેર કરી હતી.પોલીસને બનાવની જાણ કરતા યુનિવર્સિટી પોલીસ મથકના જયશ્રીબેન ડાંગર અને સ્ટાફ બનાવ સ્થળ પર પહોંચી કાર્યવાહી કરી હતી.મૃતક કરમા ત્રણ બહેન અને એક ભાઇમાં વચેટ હતી તેના પિતા અને માતા મજુરી કામ કરે છે યુવતીના મૃત્યુથી પરિવારમાં અરેરાટી મચી ગઇ છે.

Continue Reading

ગુજરાત

રાજકોટના તત્કાલીન ડીસીપી પ્રવીણકુમાર મીણા અને અચલ ત્યાગીની CBIમાં નિમણૂક

Published

on

By

ગુજરાત કેડરના વધુ બે IPS અધિકારીઓની CBIમાં નિમણૂક કરવામાં આવી છે. અચલ ત્યાગી 2015 બેન્ચના અધિકારીની સીબીઆઈમાં નિમણૂક કરાઈ છે, જ્યારે IPS પ્રવિણ કુમાર 2016 બેન્ચના અધિકારીની પાંચ વર્ષ માટે સીબીઆઈમાં નિમણૂક કરવામાં આવી છે. અચલ ત્યાગી મહેસાણા જિલ્લા પોલીસવડા તરીકે ફરજ બજાવતા હતા. જ્યારે IPS પ્રવિણ કુમાર મીણા આણંદ જિલ્લા પોલીસવડા હતા.

IPS પ્રવિણ કુમાર સૌ પ્રથમ ગીર સોમનાથ જિલ્લામાં તલાલા ગીર ખાતે તેમના પ્રોબેશન સમય દરમિયાન ફરજ બજાવી હતી. બાદમાં દોઢ વર્ષ સુધી વિરમગામ ખાતે એએસપી તરીકે બાદમાં તેમની નિમણૂંક રાજકોટ ડીસીપી ઝોન-1 માં થઈ હતી. ત્યાં તેમણે તેમની ફરજની સાથે ડીસીપી ટ્રાફિક અને સાયબર ક્રાઇમનો વધારાનો હવાલો પણ સંભાળ્યો હતો.

પ્રવિણકુમાર મૂળ રાજસ્થાનના અલવરના વતની છે. પ્રવિણકુમારના પિતા પણ ઈન્ડીયન રેવન્યુ સર્વીસમાં પુનામાં અધિકારી તરીકે ફરજ બજાવતા હતા. આ કારણે તેમણે પ્રાથમિક શિક્ષણ પૂના ખાતે અને ધોરણ 12 સુધીનો અભ્યાસ મુંબઈ ખાતે કર્યો હતો. બાદમાં તેમણે ઈંઈંઝ બોમ્બે ખાતેથી બી.ટેક અને એમ.ટેક.માં મિકેનિકલ એન્જિનિયરિંગની પદવી મેળવી હતી. વર્ષ 2011માં તેઓએ યુપીએસસીની તૈયારીઓ શરૂૂ કરી, જેમાં તેઓને વર્ષ 2016માં સફળતા મળતા તેઓ આઇપીએસ અધિકારી બન્યાં હતાં.

Continue Reading

Trending