ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ-10 અને ધોરણ-12ની જાહેર પરીક્ષા 27/02/2025 થી શરૂૂ થવા જઈ રહી છે. બોર્ડ દ્વારા પરીક્ષાર્થીઓ માટે ઉત્તરવહી ભરવા સંબંધિત અગત્યની સૂચનાઓ જાહેર કરવામાં આવી છે, જેથી વિદ્યાર્થીઓ પરીક્ષા દરમિયાન કોઈ ભૂલ ન કરે અને યોગ્ય રીતે ઉત્તરવહી ભરી શકે આ સૂચનાઓ ઉત્તરવહીના કવર પેજ પર પણ આપવામાં આવશે.
પરીક્ષાર્થીએ પોતાની ફી રસીદ/પ્રવેશપત્ર પર આપેલ બેઠક નંબર અને બારકોડ સ્ટિકર પરનો બેઠક નંબર એક જ છે તેની ખાતરી કરવી. બારકોડ સ્ટિકર ચોંટાડવાના નિયત ખાનામાં જ ચોંટાડવું અને તેની સાથે કોઈ ચેડાં કરવા નહીં. પરીક્ષાર્થીએ પોતાનો બેઠક નંબર નિયત જગ્યા પર જ અંગ્રેજી અક્ષરો અને અંકોમાં સ્પષ્ટ રીતે લખવો. તેમાં કોઈ પણ પ્રકારની છેકછાક કરવી નહીં.
ઉત્તરવહી કે પુરવણીના કોઈપણ પાના પર પોતાની ઓળખ જાહેર થાય તેવા કોઈ પણ નંબર, નામ, ચિન્હ કે ધાર્મિક લખાણ કરવા નહીં. વર્ગખંડમાં હાજર રિપોર્ટ પત્રકમાં આપેલ જવાબવહી નંબર અને બારકોડ સ્ટિકર પરના બેઠક નંબર સાથે ખાતરી કરીને જ સહી કરવી.પરીક્ષા સમય પૂર્ણ થવાના 10 મિનિટ પહેલાં મુખ્ય જવાબવહી અને પુરવણી પર ખાખી સ્ટીકર નિયત જગ્યાએ ચોંટાડવાનું રહેશે. જવાબવહીમાં લખાણ માટે માત્ર વાદળી/ભૂરા રંગની શાહી/બોલપેનનો જ ઉપયોગ કરવો. અન્ય કોઈ રંગની પેનનો ઉપયોગ કરવો નહીં. મથાળાં અને પેટા મથાળાં નીચે લીટી દોરવા માટે પણ અન્ય રંગનો ઉપયોગ કરવો નહીં.
ઉત્તરવહીના દરેક પાનાની બંને બાજુએ લખવું. દરેક વિભાગના પ્રશ્નોના ઉત્તર અલગ વિભાગવાર લખવા. વિભાગ બદલાય ત્યારે નવા પાનાથી શરૂૂ કરવું અને પ્રશ્ન ક્રમાંક હાંસિયામાં લખવા. વિભાગ બદલાય ત્યારે વચ્ચે કોરું પાનું છોડવું નહીં. જે પ્રશ્નપત્રમાં વિભાગ ન હોય તેમાં પ્રશ્નો સળંગ લખવા અને નવો પ્રશ્ન નવા પાનાથી શરૂૂ કરવો. બે પ્રશ્નો વચ્ચે કોરું પાનું છોડવું નહીં. પેપર પૂરું થયા બાદ બાકી રહેલા કોરા પાના પર ઊભી લીટી દોરવી.ઉપરોક્ત સૂચનાઓનું પાલન ન કરવા બદલ પરીક્ષાર્થી અને ખંડ નિરીક્ષક બંને જવાબદાર રહેશે. પુરવણી બાંધવા માટે બોર્ડ દ્વારા આપવામાં આવેલ સફેદ મીણના દોરાનો જ ઉપયોગ કરવો. અન્ય કોઈ દોરાનો ઉપયોગ ગેરરીતિ ગણાશે. બોર્ડ દ્વારા આ સૂચનાઓ વિદ્યાર્થીઓના હિતમાં જાહેર કરવામાં આવી છે જેથી પરીક્ષા પ્રક્રિયા સરળ અને ભૂલ રહિત રહે.

