રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સૌરાષ્ટ્ર પ્રાંતના સંઘચાલક મુકેશભાઈ મલકાણ જણાવે છે કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા સમાલખા, હરિયાણા 13 થી 15 માર્ચ 2026 દરમિયાન યોજાઈ ગઈ. આ પ્રતિનિધિ સભામાં સરસંઘચાલક મોહનજી ભાગવત, સરકાર્યવાહ માન.દત્તાત્રેય હોસબાલે, સહિત તમામ છ સહ સરકાર્યવાહ વિવિધ સંગઠનોના 1493 કાર્યકરો અપેક્ષિત હતા જેમાંથી 1438 ઉપસ્થિત હતા.
બેઠકની શરૂૂઆત ભારતમાતાને પુષ્પાંજલી અને દીપ પ્રાગટ્યથી થઈ. સમાજ જીવનના વિવિધ ક્ષેત્રોમાં અગ્રેસર રહેલા અને તાજેતરમાં દિવંગત થયેલા મહાનુભાવોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી જેમાં સદગુરુદાસ મહારાજ (વિજયરાવ દેશમુખ): વિદર્ભ, ડો. માધવ ગાડગિલ – પર્યાવરણ વૈજ્ઞાનિક, શિવરાજ પાટીલ – ભૂતપૂર્વ ગૃહમંત્રી ભારત સરકાર, કે. એન. દીક્ષિત પદ્મભૂષણ, વિખ્યાત પુરાતત્વવિદ, અજિત પવાર – મહારાષ્ટ્ર રાજ્યના ઉપમુખ્યમંત્રી, ધર્મેન્દ્ર (ધરમસિંગ) દેઓલ – અભિનેતા અને પૂર્વ સાંસદ, સુલક્ષણા પંડિત – સુપ્રસિદ્ધ અભિનેત્રી, મતી સિમોન દુનોયર ટાટા – ઉદ્યોજક – લેક્મે ની ચેરપર્સન, સૌરાષ્ટ્રના કિશોરભાઈ કોટક- જૂનાગઢના મા. વિભાગ સંઘચાલકજી તેમજ હસમુખભાઈ પંડ્યા -જૂનાગઢ વિભાગ કાર્યવાહ સહિત મહાપુરુષોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
દેશમાં 55,683 સ્થળો પર દરરોજ કુલ 88,949 નિત્ય શાખાઓ થાય છે. ગયા વર્ષે 51,740 સ્થાનો પર નિત્ય શાખાની સંખ્યા 83,129 હતી. આમ દૈનિક શાખાઓમાં ગયા વર્ષ કરતાં 5,820 જેટલી શાખાઓનો વધારો થયો છે. દેશમાં 32,606 સાપ્તાહિક મિલન ચાલે છે. ગયા વર્ષે આ સંખ્યા 32,147 હતી. આમ સાપ્તાહિક મિલનમાં ગયા વર્ષ કરતાં 459નો વધારો થયો છે. દેશમાં 13,211 સ્થાનો પર માસિક મિલન ચાલે છે. ગયા વર્ષે આ સંખ્યા 12,091 હતી.
સૌરાષ્ટ્ર પ્રાંતમાં એક મહાનગર, અન્ય 50 નગરો તથા ગ્રામીણ વિસ્તારમાં 14 જિલ્લા અંતર્ગત 117 તાલુકા આવેલા છે. સૌરાષ્ટ્રમાં હાલ 294 સ્થાન ઉપર 601 દૈનિક શાખા લાગે છે તે ઉપરાંત 599 સાપ્તાહિક મિલન અને 323 સ્થાનો પર માસિક મિલન ચાલે છે.
આગામી વર્ષમાં 11 ક્ષેત્ર સ્તર ના વર્ગ તથા એક નાગપુરના વર્ગ ને મળીને કુલ 96 પ્રશિક્ષણ વર્ગ યોજાશે. સૌરાષ્ટ્રમાં આગામી દિનાંક 16 મે 2026 થી 1 જૂન 2026 સુધી સંઘ શિક્ષા વર્ગ અંજાર ખાતે યોજાયેલ છે.
રાજકોટ મહાનગર અને ગોંડલ તાલુકામાં ડો. બાબાસાહેબ આંબેડકર જયંતિ નિમિત્તે 13 એપ્રિલ 2025ના રોજ એક જ દિવસે 170 નિ:શુલ્ક આરોગ્ય શિબિરોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરોમાં 337 ડોક્ટરો અને 785 સ્વયંસેવકોની મદદથી આશરે 9000 દર્દીઓની સારવાર કરવામાં આવી હતી.
સૌરાષ્ટ્રમાં સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે 315 હિન્દુ સંમેલન યોજાયા
સંઘ શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગ રૂૂપે જુદા જુદા વિસ્તારોમાં કુલ 315 હિન્દુ સંમેલન થયા હતા જેમાંથી 148 ગ્રામ્ય કક્ષાએ અને 167 શહેરી કક્ષાએ સંમેલનો થયા હતા. આ સંમેલનમાં કુલ મળીને 1,74,898 લોકો જોડાયા હતા જેમાંથી 75,952 બહેનો સહભાગી થયા હતા. હિન્દુ સંમેલનને સફળ બનવા માટે સમાજના 4,460 વ્યક્તિઓ એ જહેમત ઉઠાવી હતી. હજુ આગામી સમયમાં વધુ હિન્દુ સંમેલનના આયોજન થશે.
સૌરાષ્ટ્રમાં 14,51,185 ઘરોનો સંપર્ક કરાયો
સૌરાષ્ટ્ર પ્રાંતમાં સંઘ શતાબ્દી વર્ષ નિમિતે ઘર સંપર્ક અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 14,51,185 ઘરોમાં સંપર્ક કરવામાં આવ્યો છે. ઘર સંપર્ક અભિયાનને સફળ બનાવવા માટે સૌરાષ્ટ્રના 19,175 કાર્યકર્તાએ કાર્ય કર્યું હતું. જેમાંથી 1,134 બહેનો હતા તેમજ 1,697 વિવિધ ક્ષેત્રના કાર્યકર્તાઓ જોડાયા હતા. ઘર સંપર્ક દરમિયાન સંઘના સ્વયંસેવકોએ પંચ પરિવર્તન વિષે પરિવાર સાથે વાતચીત કરી હતી અને સમાજના કામમાં જોડાવા લોકોને આહ્વાન કર્યું હતું.

