શહેરમાં વાજડી ગામે રહેતી શ્રમિક પરિણીતાને કામે જવાની પતિએ ના પાડતાં બન્ને વચ્ચે ફોનમાં રકઝક થઈ હતી. પતિ સાથે ઝઘડો થતાં પરિણીતાને માઠુ લાગી આવતાં ઝેરી દવા પી લીધી હતી. પરિણીતાને તાત્કાલીક સારવાર માટે ખસેડવામાં આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, મુળ ઉતર પ્રદેશની વતની અને હાલ વાજડી ગામે રહેતી રિમાબેન સોનુભાઈ પ્રજાપતિ (ઉ.32)ને તેના પતિએ બાળકો નાના હોવાથી કામે જવાની ના પાડી હતી. જે અંગે ફોનમાં દંપતિ વચ્ચે ઝઘડો થતાં રિનાબેન પ્રજાપતિએ આવેશમાં આવી ઝેરી દવા પી લીધી હતી. રિનાબેનને ઝેરી અસર થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
આ ઉપરાંત બીજા બનાવમાં માનસરોવર પાસે આવેલા સદ્ગુરૂ સોસાયટીમાં રહેતાં વિજય મનુભાઈ પેથાણી (ઉ.35) અમુલ સર્કલ નજીક ભારતનગર પાસે હતો ત્યારે ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં પત્ની પુનમબેન ત્રાસ આપતી હોવાથી ઝેરી દવા પી લીધી હોવાનું વિજય પેથાણીએ આક્ષેપ કર્યો છે. આક્ષેપના પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

