ચૂંટણી ટાણે ગુજરાતીઓને ‘અભણ’ કહેવાનું ભારે પડયુ, ઉગ્ર વિરોધ ઉઠતાં કોંગ્રેસ અધ્યક્ષના પારોઠના પગલા
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ગુજરાતીને લઈ વિવાદાસ્પદ ટિપ્પણી અંગે હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં તાજેતરમાં રાજકીય ક્ષેત્રમાં એક નિવેદનને લઈને ઉઠેલા વિવાદ બાદ મલ્લિકાર્જુન ખડગે એ સ્પષ્ટતા સાથે માફી માંગી છે. કેરળમાં આપવામાં આવેલા તેમના એક ચૂંટણી ભાષણ દરમિયાન ગુજરાતીઓને લઈને કરવામાં આવેલી ટિપ્પણી વિવાદમાં આવી હતી, જેના કારણે રાજકીય અને સામાજિક સ્તરે ચર્ચા શરૂૂ થઈ હતી.
આ મામલે વધતા વિરોધ વચ્ચે ખડગેએ જણાવ્યું કે, તેમના ભાષણને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું કે તેમના શબ્દોનો અર્થ ખોટી રીતે પ્રસ્તુત કરવામાં આવ્યા છે. આ સાથે તેમને કહ્યું કે, મારો હેતુ કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નહોતો. છતાં, જવાબદારી સ્વીકારી તેમણે પોતાના નિવેદન બદલ ખેદ વ્યક્ત કર્યો છે. ખડગેએ જણાવ્યું કે ગુજરાતના લોકો પ્રત્યે તેમના મનમાં હંમેશા ઊંચું સન્માન રહ્યું છે અને રહેશે. તેમણે ઉમેર્યું કે કોઈપણ સમુદાયને અપમાનિત કરવો તેમનો આશય નહોતો, પરંતુ જો કોઈને તેમની વાતથી દુ:ખ થયું હોય તો તે માટે તેઓ દિલગીર છે.
આ ઘટનાએ ફરી એકવાર રાજકીય ભાષણોમાં શબ્દચયનની મહત્વતા દર્શાવી છે. ખાસ કરીને ચૂંટણી સમયગાળામાં નેતાઓના નિવેદનો વધુ સંવેદનશીલ બને છે અને તેની વ્યાખ્યા પણ વિવિધ રીતે થઈ શકે છે. તેથી રાજકીય નેતાઓ માટે જવાબદારીપૂર્વક વાતચીત કરવી અત્યંત જરૂૂરી બની જાય છે. નોંધનીય છે કે, આ મુદ્દે ગુજરાત ભાજપ સહિત ગુજરાતીઓએ પણ ભારે વિરોધ નોંધાવ્યો હતો.
મુળ ઘટનામાં મલ્લિકાર્જુન ખડગેએ કેરળમાં કહ્યું હતું કે વડાપ્રધાન મોદી ગુજરાતની અશિક્ષિત-અભણ પ્રજાને મુર્ખ બનાશી શકે કેરળની પ્રજાને નહીં. ત્યારબાદ આખા દેશમાં ખડગેના આ નિવેદનનો ઘોર વિરોધ થયો હતો. ગુજરાતના મુખ્યમંત્રી સહિતના નેતાઓ અને હજારો ભાજપના કાર્યકરોએ ખડગે પર માછલા ધોયા હતાં અને ગુજરાતની પ્રજાની માફી માંગવા કહ્યું હતું. ખડગેનો વિરોધ જોતજોતામાં કોંગ્રેસનો વિરોધ બની જતાં કોંગ્રેસ હાઈકમાન્ડે એક મીટીંગ બોલાવી ખડગેના નિવેદનથી ઉઠેલા વા-વંટોળની સમીક્ષા કરી હતી, આ વંટોળને શાંત કરવા છેવટે ભાન આવતાં ખડગેએ માફી માંગવાના સંજોગો ઉભા થયા હતાં.

