Site icon Gujarat Mirror

ભાણવડના સઈ દેવળિયામાં પત્ની સાથેના મનદુ:ખમાં પતિનો આપઘાત

ભાણવડ તાલુકાના સઈ દેવળીયા ગામે હાલ રહેતા અને મૂળ મધ્ય પ્રદેશ રાજ્યના અલીરાજપુર જિલ્લાના બોરી તાલુકાના રહીશ ભુગુભા રણસિંહ ડાગર નામના 46 વર્ષના આદિવાસી શ્રમિક યુવાન ખેતીની જમીન ભાગમાં રાખીને મજૂરી કરતા હોય, તેમના પત્ની નરબદીબેન ભુગુભા રણસિંહ ડાગર (ઉ.વ. 41) સાથે ઘરના તથા મજૂરીકામ બાબતે ત્રણેક દિવસ પૂર્વે બોલાચાલી થઈ હતી. જે બાબતનું મનદુ:ખ રાખીને ભુગુભાઈએ ગઈકાલે શુક્રવારે ઘાસમાં છાંટવાની ઝેરી દવા પી લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની જાણ નરબદીબેન ડાગરએ ભાણવડ પોલીસને કરી છે.

રાજકોટના યુવાન પર ફાઈનાન્સની ઉઘરાણી બાબતે છરી વડે હુમલો
ખંભાળિયા તાલુકાના બેરાજા ગામના મૂળ રહીશ અને હાલ રાજકોટ ખાતે રહેતા પરબતભાઈ વિક્રમભાઈ ભોચીયા નામના 37 વર્ષના આહિર યુવાન પર બેરાજા ગામના વિપુલ રાયદેભાઈ આંબલીયા નામના શખ્સ દ્વારા છરીના છ ઘા ઝીંકીને તેમને બાવડામાં, પડખામાં, ડૂંટીના ભાગે તેમજ ગરદનમાં હુમલો કરી, લોહી લોહાણ કર્યાની તથા ફ્રેકચર સહિતની ઈજાઓ કરીને જાનથી મારી નાખવાની ધમકી આપવા સબબ અહીંના પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદી પરબતભાઈ અને આરોપી વિપુલ સાથે મળીને અગાઉ ફાયનાન્સનો ધંધો કરતા હતા. અગાઉ વિપુલે ભાવેશ નામના એક શખ્સને રૂૂપિયા સવા લાખ વ્યાજે રૂૂપિયા આપ્યા હતા. તે રૂૂપિયા કઢાવી આપવાનું આરોપી વિપુલે પરબતને કહેતા પરબતે આરોપી વિપુલને જાતે ભાવેશ પાસેથી પૈસા કઢાવી લેવાનું કહ્યું હતું. જે બાબતે થયેલી બોલાચાલી બાદ ઉપરોક્ત બનાવ બન્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. આ સમગ્ર બનાવ અંગે પોલીસે ભારતીય ન્યાય સંહિતા તેમજ જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Exit mobile version