જીરૂ-વરિયાળી-રાયડા-ઘઉંના પાકને નુકસાન થવાની ભીતિ, હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર
ગુજરાતમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે રાજ્યના વાતાવરણમાં મોટા પલટાની આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે આગામી સમયમાં કમોસમી વરસાદ એટલે કે માવઠું પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
આ આગાહીને પગલે ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છના ખેડૂતોમાં ચિંતાની લહેર પ્રસરી ગઈ છે. આગાહી બાદ માવઠાને કારણે રાજ્યમાં ત્રેવડી ઋતુનો અનુભવ થશે. આ સાથે બદલાતા વાતાવરણને કારણે રોગચાળો વકરે તેવી શક્યતા છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, કચ્છ, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં ગાજવીજ અને વીજળીના કડાકા સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ વિસ્તારોમાં તંત્ર દ્વારા ’યલો એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સીધી અસર આ સરહદી જિલ્લાઓમાં જોવા મળશે, જ્યારે રાજ્યના અન્ય ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે.
વણજોઈતા વરસાદને કારણે રવિ પાક જેવા કે જીરૂૂં, વરિયાળી અને રાયડાના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોને પોતાનો તૈયાર પાક સુરક્ષિત સ્થળે ખસેડવા અને માર્કેટ યાર્ડમાં માલ ખુલ્લામાં ન રાખવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. દિવાળી બાદ આવેલા માવઠાના કારણે પહેલાથી જ ખેડૂતો પાક નુકસાની વેઠી ચુક્યા છે. હવે ફરીવાર માવઠાની આગાહીથી જગતના તાતની ચિંચામાં વધારો થયો છે.
માછીમારોને બે દિવસ દરિયો ન ખેડવા ચેતવણી
દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિમાં ફેરફાર થવાની શક્યતાને જોતા માછીમારોને આગામી બે દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસે જણાવ્યું છે કે, આગામી 24 કલાક બાદ માવઠાની અસર ઓછી થતાની સાથે જ રાજ્યમાં ઠંડીનું જોર ફરી વધશે. બે દિવસ બાદ લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતા કકડતી ઠંડીનો અનુભવ થશે.

