Site icon Gujarat Mirror

ગોંડલના વૃધ્ધનો 12 લાખનો પ્લોટ ભત્રીજાએ બારોબાર વેંચી નાખ્યો

ગોંડલ શહેરમાં વર્ષો જૂની અને જાણીતી ’અશોક પૌવા ફેક્ટરી’ના ભાગીદારો વચ્ચે મિલકત અને હિસાબ બાબતે મોટો વિવાદ સર્જાયો છે. 87 વર્ષીય વૃદ્ધ વિનોદરાય ઓત્તમચંદ શેઠે તેમના જ ભત્રીજા સમીરભાઈ જયવંતભાઈ શેઠ વિરુદ્ધ મિલકતો પચાવી પાડવા અને લાખો રૂૂપિયાની છેતરપિંડી કરવાની ફરિયાદ નોંધાવતા વેપારી આલમમાં ખળભળાટ મચી ગયો છે.

ફરિયાદી વિનોદરાય શેઠના જણાવ્યા અનુસાર, તેઓ વર્ષ 1963થી પિતા દ્વારા સ્થાપિત અશોક પૌવા ફેક્ટરીમાં 50 ટકાના ભાગીદાર છે. છેલ્લા પાંચેક વર્ષથી પેઢીનું સંચાલન તેમનો ભત્રીજો સમીર શેઠ સંભાળતો હતો. આક્ષેપ છે કે સમીર છેલ્લા પાંચ વર્ષથી પેઢીના નફા-નુકસાન કે મૂડીનો કોઈ લેખિત હિસાબ આપતો નથી. આ ઉપરાંત, ’કેતન ઇન્ડસ્ટ્રીઝ’ નામની તેમની બીજી ભાગીદારી પેઢી વર્ષ 2019-20થી બંધ કરી દેવાઈ હોવા છતાં, તેનો હિસ્સો પણ વિનોદરાયને આપવામાં આવ્યો નથી.

સંયુક્ત મિલકતો હડપવાનો આક્ષેપ વિનોદરાયે ફરિયાદમાં જણાવ્યું છે કે સ્ટેશન પ્લોટનું મકાન, ગુંદાળા રોડ પરનો પ્લોટ, ઉમવાડા રોડ પરનો પ્લોટ અને મુંબઈના બાન્દ્રામાં આવેલો ફ્લેટઆ તમામ મિલકતો સંયુક્ત ભાગીદારી અથવા વડીલોપાર્જિત છે. આ મિલકતોમાં પણ તેમને હિસ્સો આપવામાં આવતો નથી. સૌથી ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે, ગુંદાળા રોડ પર ગોલ્ડન પાર્કમાં આવેલો સંયુક્ત માલિકીનો પ્લોટ ભત્રીજા સમીર શેઠે અન્ય ભાગીદારોને અંધારામાં રાખીને વર્ષ 2018-19માં બારોબાર વેચી નાખ્યો હતો. આ વેચાણમાંથી આવેલા અંદાજે રૂૂપિયા 12,00,000/- પોતે રાખી લઈ, કાકાને હિસ્સો ન આપી વિશ્વાસઘાત કર્યો હોવાનું ફરિયાદમાં ઉલ્લેખાયું છે. આ મામલે વિનોદરાયે વર્ષ 2025માં રજિસ્ટર્ડ એડીથી નોટિસ પણ મોકલી હતી, છતાં કોઈ ઉકેલ ન આવતા અંતે તેમણે રાજકોટ રહેતા તેમના જમાઈ સાથે આવી ગોંડલ પોલીસમાં ન્યાયની ગુહાર લગાવી છે. પોલીસે વિશ્વાસઘાત અને છેતરપિંડીની આ ફરિયાદ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version