ગુજરાતમાં વર્ષોથી અબજો રૂૂપિયાના ખર્ચે મહાનગરોથી લઇને ગ્રામ્ય વિસ્તાર અને જંગલ વિસ્તારમાં પણ કરોડો વૃક્ષો વાવવામાં આવતા હોવાનો સરકાર અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા દાવો કરવામાં આવતો હોય છે. તેમ છતાં ગુજરાતમાં અન્ય રાજ્યની સરખામણીમાં વન આવરણ મામૂલી છે. ગુજરાતમાં ભારતીય વન સર્વેક્ષણના 2023ના અહેવાલ મુજબ કુલ ભૌગોલિક ક્ષેત્રફળ 1.96 લાખ કરોડ હેકટર જમીનમાંથી ફક્ત 15 લાખ હેકટરમાં જ વન આવરણ છે. જે કુલ ભૌગોલિક વિસ્તારના માત્ર 7.65 ટકા થવા જાય છે.
ગુજરાત દેશના એવા ગણતરીના રાજ્યોમાં છે જેમાં ટકાવારીમાં બે આંકડામાં પણ વન આવરણ નથી. છેલ્લા કેટલાક સમયથી ખાસ કરીને મહાનગરોમાં તાપમાનમાં સતત વધારો થઇ રહ્યો છે. ક્લાઇમેટ ચેન્જના કારણે મોસમની વિપરીત અસર થઇ રહી છે. પ્રદૂષણમાં પણ સતત વધારો થઇ રહ્યો છે ત્યારે રાજ્યમાં વન-પર્યાવરણ વિભાગના અસરકારક રીતે ફેરફાર દેખાય તેવી રીતે વૃક્ષારોપણના પ્રયાસો નિષ્ફળ રહ્યા છે. ગ્રીન કવરમાં સામાન્ય વધારાથી સંતોષ માની લેવાય છે. તેની સામે અનેક રાજ્યોએ વન આવરણ વિસ્તાર વધારવા કરેલા ગંભીર પ્રયાસોનું પરિણામ દેખાઇ આવ્યું છે. છેલ્લા ચાર વર્ષમાં વૃક્ષારોપણની વિવિધ યોજનામાં ગુજરાતને કેન્દ્ર સરકાર દ્વારા 500 કરોડ કરતા વધુ રકમ મળી છે.
વિવિધ રાજ્યમાં વન આવરણ
ગુજરાત 7.65 ટકા
મહારાષ્ટ્ર 16.53 ટકા
આંધ્રપ્રદેશ 18.47 ટકા
છત્તીસગઢ 41.28 ટકા
ગોવા 61.20 ટકા
કર્ણાટક 20.47 ટકા
હિમાચલ પ્રદેશ 27.99 ટકા
ઓરિસ્સા 33.67 ટકા
ઉત્તરાખંડ 45.44 ટકા

