Site icon Gujarat Mirror

દેેશમાં પ્રથમવાર ઉત્તરાખંડમાં આજથી UCCનો અમલ: છૂટાછેડાનો એક જ કાયદો, બહુપત્નીત્વ ખતમ

સમાન નાગરિક કાયદો એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરનારૂં ઉતરાખંડ દેશનું સૌપ્રથમ રાજય બન્યું છે. બપોરે 12:30ના ટકોરે આ કાયદો લાગુ થતા લગ્ન, છુટાછેડા, મિલકતના વિભાગન માટે દરેક ધર્મના લોકોને સમાન- એક જ કાયદો લાગુ થશે. ગઇકાલે સીએમ ધામીએ જણાવ્યું હતું કે યુસીબીના કારણે ધર્મ, લિંગ, જાતિ અથવા સમુદાયના આધારે ભેદભાવમુક્ત સુમેળભર્યા સમાજનો પાયો નખાશે. તેમણે કહ્યું હતું કે એ રાજયના લોકોને 2022ની વિધાનસભામાં ચુંટણી પહેલાન યુસીસી લાવવા વચન આપ્યું હતું અને અમે આ વચન પુરૂ કર્યું છે.

ઉલ્લેખનીય છે કે ભારતીય બંધારણમાં ગોવાને વિશેષ રાજ્યનો દરજ્જો મળ્યો છે. તેમજ કાયદો બનાવીને સંસદે ગોવાને પોર્ટુગીઝ સિવિલ કોડ લાગુ કરવાનો અધિકાર આપ્યો હતો. તેથી, ગોવા એકમાત્ર રાજ્ય છે જ્યાં યુસીસી લાગુ છે. હવે ઉત્તરાખંડ પહેલું રાજ્ય બનશે જ્યાં સ્વતંત્રતા પછી સમાન નાગરિક સંહિતા લાગુ કરવામાં આવ્યો છે. આ કારણે લગ્ન, છૂટાછેડા, બાળકને દત્તક લેવા અને મિલકતના વિભાજન તેમજ લિવ-ઈન સંબંધો જેવી બાબતોમાં દરેક નાગરિક માટે સમાન કાયદો હશે.

લગ્નની સાથે સાથે લિવ-ઇન કપલ્સ માટે પણ રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે. નોંધણીની સુવિધા દરેક ગ્રામસભા સ્તરે પણ ઉપલબ્ધ રહેશે. કોઈપણ વ્યક્તિ તેની જાતિ, ધર્મ અથવા સંપ્રદાયને ધ્યાનમાં લીધા વિના છૂટાછેડાનો સમાન કાયદો હશે. હાલમાં દેશમાં દરેક ધર્મના લોકો આ બાબતોને તેમના અંગત કાયદા દ્વારા ઉકેલે છે.
આ સિવાય રાજ્યમાં બહુપત્નીત્વ પર પ્રતિબંધ મુકવામાં આવશે. છોકરીઓના લગ્નની ઉંમર જાતિ અને ધર્મને ધ્યાનમાં લીધા વિના સમાન રહેશે. એટલે કે છોકરીની લગ્નની ઉંમર 18 વર્ષ હશે. યુસીસી લાગુ થયા બાદ તમામ ધર્મના બાળકોને દત્તક લેવાનો અધિકાર મળશે. જો કે, અન્ય ધર્મના બાળકને દત્તક લઈ શકાશે નહીં. યુસીસી લાગુ થયા બાદ ઉત્તરાખંડમાં હલાલા જેવી પ્રથા પણ બંધ થઈ જશે. વારસામાં છોકરીઓને છોકરાઓની જેમ સમાન હિસ્સો મળશે.

ઉત્તરાખંડમાં યુસીસી લાગુ થયા બાદ કપલ્સ માટે લિવ-ઈન રિલેશનશિપની નોંધણી કરાવવી ફરજિયાત બની જશે. જો દંપતીની ઉંમર 18 થી 21 વર્ષની વચ્ચે હોય તો તેમણે રજીસ્ટ્રેશન દરમિયાન તેમના માતા-પિતાનો સંમતિ પત્ર પણ આપવો પડશે.

યુસીસી હેઠળ, લિવ-ઇન રિલેશનશિપમાંથી જન્મેલા બાળકને પણ વિવાહિત યુગલના બાળક જેટલો જ અધિકાર મળશે. યુનિફોર્મ સિવિલ કોડના નિયમો અને નિયમોમાંથી અનુસૂચિત જનજાતિને સંપૂર્ણપણે બાકાત રાખવામાં આવી છે. આ સિવાય ટ્રાન્સજેન્ડર અને પૂજા અને પરંપરાઓ જેવી ધાર્મિક બાબતો સાથે કોઈ છેડછાડ કરવામાં આવી નથી.

બીજી તરફ એઆઈ એમઆઈએમના નેતા અને પૂર્વ ધારાસભ્ય વારિસ પઠાણે કહ્યું કે આ કાયદો લાવીને સરકાર મુસ્લિમોના લગ્ન અને સંપત્તિના અધિકારમાં હસ્તક્ષેપ કરવા માંગે છે. યુસીસી લાવવાનો એકમાત્ર હેતુ મુસ્લિમોને કોઈ રીતે હેરાન કરવાનો છે. આ દેશમાં યુસીસી લાગુ કરી શકાતું નથી કારણ કે આપણો દેશ એકતામાં વિવિધતા માટે જાણીતો છે.

Exit mobile version