ગોંડલ તાલુકાના વાસાવડથી મોટી ખીલોરી તરફ જતા મહત્વના સિંગલ પટ્ટી માર્ગ પર લાંબા સમય બાદ તંત્ર દ્વારા યોગ્ય રીતે પેચવર્કની કામગીરી કરવામાં આવતા સ્થાનિકો અને વાહનચાલકો એ રાહતનો શ્વાસ લીધો છે. વાસાવડથી મોટી ખીલોરીને જોડતો 5 કિમીનો રસ્તો બાબરા, દેરડી કુંભાજી, કુંકાવાવ, બગસરા અને સુલતાનપુર તરફ જવા માટેનો મુખ્ય શોર્ટકટ છે. જેના કારણે અહીં દિવસભર વાહનોની ભારે અવરજવર રહે છે.
સુત્રોનાં જણાવ્યા અનુસાર, અગાઉ જ્યારે પણ પેચવર્ક થતું ત્યારે ખાડામાં ડામર-કપચીના ઢગલા કરી દેવાતા હતા. જેના પર રોલર ન ફેરવતા ટુ-વ્હીલર ચાલકો સ્લિપ થતા અને ફોર-વ્હીલરને નુકસાન થતું હતું. વાસાવડના રહીશોની વારંવારની રજૂઆતો બાદ આ વખતે તંત્ર દ્વારા ઊંડા ખાડા પૂરીને તેના પર પ્રોપર રોલર ફેરવી લેવલિંગ કરવામાં આવ્યું છે. રસ્તાની મરંમત થતા વાહન ચાલકો ખુશ છે, પરંતુ એક મોટી સમસ્યા હજુ પણ યથાવત છે. વાસાવડ થી મોટી ખીલોરી વચ્ચે એક પણ દિશા સૂચક ન હોવાથી રાત્રિના સમયે અજાણ્યા મુસાફરો અટવાઈ જાય છે. આ માર્ગ પર તાકીદે સાઈન બોર્ડ લગાવવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.

