Site icon Gujarat Mirror

ખેડૂતોએ તાળાબંધી કરતા પાંચ વર્ષ જૂનો પાક વીમો ચૂકવવા ખાતરી

માણાવદરની બેંક ઓફ બરોડા 1100 ખેડૂતોનો પાકવીમો વર્ષોથી દબાવીને બેઠી હતી

માણાવદર પંથકમાં વર્ષ 2019-20ના પાક વીમાના પ્રશ્ને ખેડૂતોના સંઘર્ષે સફળતા મેળવી છે. બેંક ઓફ બરોડા દ્વારા વીમાની ચુકવણીમાં વિલંબ થતા આમ આદમી પાર્ટીના નેતાઓ રાજુ બોરખતરીયા અને પરેશ ગોસ્વામીની આગેવાનીમાં 200થી વધુ ખેડૂતો બેંક ખાતે પહોંચ્યા હતા. પહેલા બેંક મેનેજરને રજૂઆત કરવામાં આવી, પરંતુ યોગ્ય જવાબ ન મળતા ખેડૂતો એ બેંકને તાળાબંધી કરી હતી. જોકે, અંતે બેંકે વીમાની રકમ ચુકવવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો.

દગડ ગામના ખેડૂત વિક્રમ હુંબલે જણાવ્યું કે, વર્ષ 2019-20ના પાક વીમાના રૂૂા. બેંક દ્વારા હજુ સુધી આપવામાં આવ્યા નથી. બેંક ઓફ બરોડા દ્વારા સતત ધક્કા ખવડાવવામાં આવતા હતા. જેથી આજે બેંકને તાળાબંધી કરી હતી.

આમ આદમી પાર્ટીના નેતા રાજુ બોરખતરીયાએ કહ્યું કે, ખેડૂતો છેલ્લા ઘણા સમયથી વીમાની ચુકવણી માટે બેંકને રજૂઆત કરતા હતા, છતાં બેંક કોઈ જવાબ આપી રહી નહોતી. આથી આમ આદમી પાર્ટીની આગેવાનીમાં ખેડૂતો મોટી સંખ્યામાં બેંક પહોંચ્યા અને મેનેજર સાથે વાતચીત કરી. અગાઉ પણ અમારી મહેનતે વીમો મંજૂર કરાવ્યો હતો, હવે ચુકવણીની લડત હતી.

બેંક ઓફ બરોડા દ્વારા આપવામાં આવેલ લેખિત ખાતરી મુજબ 2019-20ના પાક વીમાના દાવા પૈસા 1100 ખેડૂતોને ચૂકવાશે, ઘણા ખેડૂતોના જૂના ખાતા નંબર હોવાના કારણે વિલંબ થયો હતો. 1100 ખેડૂતોનું લિસ્ટ 10-7-2025 પછી વીમા કંપનીને મોકલાયું છે. બેંકની મંજૂરી પ્રમાણે 25 જુલાઈ 2025 સુધીમાં રકમ જમા થઈ જશે. ઉપરાંત, અન્ય 500 થી 700 ખેડૂતોનું લિસ્ટ અપડેટ કરી વીમા કંપનીને મોકલાશે, જેથી તે પણ ટૂંક સમયમાં જમા થશે. ખેડૂતોનું કહેવું છે કે, જો આ મુદ્દો 25 જુલાઈ સુધીમાં ઉકેલાશે નહીં, તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરાશે.

Exit mobile version