પુખ્તવયના લોકો લગ્ન કરવા માગતા હોય ત્યારે ફોજદારી કેસ તરીકે ન જોવા પોલીસને સલાહ
સુપ્રીમ કોર્ટે મંગળવારે દુષ્કર્મ અને પુખ્ત વયના યુવાનો સાથે સંકળાયેલા વાસ્તવિક પ્રેમના કેસોમાં અંતર કરવાની જરૂૂરિયાત પર ભાર મૂક્યો હતો. કોર્ટે કહ્યું હતું કે પોલીસે એ જાણવા માટે તપાસ કરવી જોઈએ કે કેસ અપહરણ અને તસ્કરીનો છે કે સાચા પ્રેમનો.
જસ્ટિસ બી.વી. નાગરત્ના અને જસ્ટિસ આર. મહાદેવનની બેન્ચે સહ-શૈક્ષણિક સંસ્થાઓ અને યુનિવર્સિટીઓનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, હવે, તેઓમાં એકબીજા પ્રત્યે લાગણીઓ વિકસિત થઈ જાય છે. શું તમે કહી શકો છો કે પ્રેમમાં પડવું એ ગુનો છે? આપણે તેમાં અને દુષ્કર્મ વગેરે જેવા ગુનાહિત કૃત્યો વચ્ચે તફાવત કરવો પડશે. સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણી એક અરજીની સુનાવણી દરમિયાન કરી હતી જેમાં સવાલ ઉઠાવવામાં આવ્યો છે કે શું જાતીય અપરાધોથી બાળકોનું રક્ષણ (પોક્સો) કાયદા હેઠળ સહમતિની ઉંમર 18 વર્ષથી ઘટાડીને 16 વર્ષ કરવી જોઈએ કે નહીં.
બેન્ચે કહ્યું હતું કે, જ્યારે કેસ સાચા પ્રેમના હોય છે, ત્યારે તેઓ એકબીજાને પસંદ કરે છે અને લગ્ન કરવા માંગે છે… આવા કેસોમાં ફોજદારી કેસ તરીકે વ્યવહાર ના કરો. તમારે સમાજની વાસ્તવિકતા ધ્યાનમાં રાખવી પડશે. સુપ્રીમ કોર્ટે આવા યુગલો દ્વારા સહન કરવામાં આવતા આઘાતનો ઉલ્લેખ કર્યો જે સામાન્ય રીતે છોકરીના માતા-પિતા દ્વારા પોક્સો એક્ટ હેઠળ કેસ દાખલ કર્યા પછી પુરુષ પાર્ટનરને જેલમાં મોકલવાનું કારણ લાગે છે. આ સમાજની કઠોર વાસ્તવિકતા છે. બેન્ચે કહ્યું હતું કે, ઘરેથી ભાગીને લગ્ન છૂપાવવા માટે પોક્સો એક્ટ હેઠળ પણ કેસ નોંધવામાં આવે છે. અરજદાર સંગઠન તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ એચએસ ફૂલ્કાએ સુરક્ષા પગલાંની માંગ કરી હતી.

