Site icon Gujarat Mirror

સેલવાસમાં નાઇટ્રોજન ગેસના ગોડાઉનમાં વિસ્ફોટ, 3ના મોત

સેલવાસ વિસ્તારમાં મધરાતે બનેલી એક ગંભીર દુર્ઘટનાએ સમગ્ર પંથકને હચમચાવી દીધું છે. નાઇટ્રોજન ગેસ સંગ્રહિત ગોડાઉનમાં થયેલા ભીષણ વિસ્ફોટના કારણે ત્રણ કામદારોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હોવાની માહિતી સામે આવી છે. આ વિસ્ફોટ એટલો જોરદાર હતો કે આસપાસના વિસ્તારમાં ધ્રુજારી અનુભવાઈ હતી અને રહેવાસીઓ ભયભીત બની ગયા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો ઘટનાસ્થળ તરફ દોડી આવ્યા હતા, જ્યાં વિનાશના દ્રશ્યો જોવા મળ્યા હતા.

પ્રાથમિક માહિતી મુજબ, આ ગેસ ગોડાઉન એક શૈક્ષણિક સંકુલથી માત્ર આશરે 30 મીટર જેટલા અંતરે આવેલું હતું. સદનસીબે આ વિસ્ફોટ મધરાતે થયો, નહીં તો દિવસ દરમિયાન મોટી જાનહાનિ થવાની શક્યતા નકારી શકાય તેમ નહોતી. સ્થાનિકોમાં આ બાબતે ભારે રોષ જોવા મળી રહ્યો છે કે આવી જોખમી એકમોને રહેણાંક અને શૈક્ષણિક વિસ્તારોની નજીક મંજૂરી કેવી રીતે આપવામાં આવી. ઘટનાની જાણ થતાં જ ફાયર સર્વીસની ટીમ તરત જ સ્થળ પર પહોંચી ગઈ હતી. આગ પર કાબૂ મેળવવા અને વધુ નુકસાન અટકાવવા માટે ફાયર જવાનો દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી. આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર ત્રણેય મજૂરોના પરિવારોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. સ્થાનિક લોકોમાં પણ ભય અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

Exit mobile version