યુવાનના મોતથી પરિવારમાં કલ્પાંત; મૃતદેહને ફોરેન્સીક પીએમ માટે રાજકોટ ખસેડાયો
મુળીના વેલાળા ગામે વાવણી કરતી વખતે ટ્રેકટર પલ્ટી ખાઈ જતાં ચાલકનું મોત નિપજ્યું હતું. યુવકના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. યુવકના મૃતદેહને ફોરેન્સીક પોસ્ટ મોર્ટમ અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, મુળી તાલુકાના વેલાળા ગામે રહેતા મેહુલ ગોપાલભાઈ ટોળીયા નામનો 21 વર્ષનો યુવાન ગઈકાલે બપોરના બારેક વાગ્યાના અરસામાં પોતાની વાડીએ વાવણી કરતો હતો. તે દરમિયાન મેહુલ ટોળીયાએ ડ્રાઈવીંગ પરનો કાબુ ગુમાવી દેતાં ટ્રેકટર પલ્ટી ખાઈ ગયું હતું. જેમાં ટ્રેકટર નીચે દબાઈ જવાથી મેહુલ ટોળીયાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. યુવકના મોતથી પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી.
પ્રાથમિક પુછપરછમાં મૃતક યુવાન બે ભાઈમાં મોટો હતો અને વાવણી કરતો હતો ત્યારે અકસ્માતે ટ્રેકટર પલ્ટી મારી જતાં સર્જાયેલા અકસ્માતમાં મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. યુવકના મૃતદેહને ફોરેન્સીક પોસ્ટ મોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. આ અંગે મુળી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

