Site icon Gujarat Mirror

એકટરને જામીન આપતી વખતે હાઇકોર્ટે વિવેકબુધ્ધિ વાપરી? સુપ્રીમની ફટકાર

રેણુકાસ્વામી હત્યા કેસમાં કર્ણાટક હાઇકોર્ટ દ્વારા એક્ટર દર્શનને આપવામાં આવેલા જામીન રદ કરવાની કર્ણાટક સરકારની અરજી પર સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. જસ્ટિસ જે. બી પારડીવાલા અને આર. મહાદેવનની ખંડપીઠે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો.
સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના આદેશની ટીકા કરી અને કહ્યું કે, પ્રથમ દ્રષ્ટિએ આ વિવેકબુદ્ધિના વિકૃત પ્રયોગનો પ્રશ્ન છે. અમે તપાસ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે, શું હાઇકોર્ટે વિવેકાધિરનો ઉપયોગ કરતી વખતે પોતાના મગજનો ઉપયોગ કર્યો છે? આ ચિંતાનો વિષય છે.

જસ્ટિસ પારડીવાલાએ પૂછ્યું, જે પ્રકારે હાઇકોર્ટે આદેશ આપ્યો છે, એ કહેતા મને ખૂબ દુ:ખ થઈ રહ્યું છે. શું હાઇકોર્ટ બીજા કેસોમાં પણ આવા જ આદેશ આપે છે? ચિંતાજનક બાબત એ છે કે જે દલીલ આપવામાં આવી હતી, ખાસ કરીને એવું કહેવું કે, હત્યાના મામલે ધરપકડનો આધાર નથી આપવામાં આવ્યો. સુપ્રીમ કોર્ટે કેટલાક આરોપીઓ તરફથી હાજર વકીલોને એક અઠવાડિયાની અંદર લેખિત દલીલો દાખલ કરવા જણાવ્યું છે.

દર્શન પર એક્ટ્રેસ પવિત્રા ગૌડા અને અન્ય ઘણા લોકો સાથે રેણુકાસ્વામી (33) નામના ફેન્સનું અપહરણ અને ત્રાસ આપવાનો આરોપ છે. રેણુકાસ્વામી કથિત રીતે પવિત્રાને અશ્ર્લીલ મેસેજ મોકલ્યા હતા. પોલીસે આરોપ લગાવ્યો કે, જૂન 2024 માં રેણુકાસ્વામીને બેંગલુરુમાં ત્રણ દિવસ સુધી રાખવામાં આવી હતી, ત્યાં તેમને ત્રાસ આપવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, તેમનો મૃતદેહ એક નાળામાંથી મળી આવ્યો હતો. 24 જાન્યુઆરીના દિવસે રાજ્ય સરકારની અરજી પર સુપ્રીમ કોર્ટે એક્ટ્રેસ પવિત્રા ગૌડા અને અન્ય લોકોને નોટિસ ફટકારી હતી.

Exit mobile version