મહારાષ્ટ્રની 29 અને વિશેષતા મુજબ મુંબઇ મહાપાલિકાના પરિણામોનું જુદાજુદા દ્રષ્ટિકોણથી વિશ્લેશક્ષ થઇ રહ્યું છે. 2017ની ચુંટણી પરિણામો સાથે 2026ની સરખામણી અસ્થાને છે કેમ કે તે વખતે અખંડ શિવસેના હતી. ગત ચુંટણી બાદ શિવસેનામાં ભાગલા પડયા અને એકનાથ શિંદેએ પોતાનો પક્ષ બનાવ્યો એ પછી 2024ની લોકસભા અને એ પછી તરત યોજાયેલી વિધાનસભાની ચુંટણીમાં વિપરીત પરિણામો આવ્યા હતા. સંસદીય ચુંટણીમાં ઉધ્ધવ ઠાકરેની શિવસેનાએ કોંગ્રેસ- એનસીપી સાથેની મહાવિકાસ અઘાડીમાં શિંદેની શિવસેના સામે સારો દેખાવ કર્યો હતો.
વિધાનસભાની ચુંટણીમાં ઉલટું બન્યું હતું. ઉધ્ધવ- શિંદે સામે વામણા સાહીત થયા હતા. મુંબઇ મહાપાલિકાની ચુંટણીમાં બાજી ફરી પલટાઇ છે. ભાજપ સાથે મળી ચુંટણી લડનારી શિંદે શિવસેનાને માત્ર 29 બેઠકો મળી છે. જયારે ઠાકરેની સેનાને એકલા હાથે 65 બેઠકો મળી છે. જે સુચવે છે કે મરાઠી મતદારોએ ઠાકરેને બાબાસાહેબના ઉતરાધિકારી માન્યા છે.મનસેના સાથથી યુબીટીએ દાદરથી ભાયખલા સુધી દક્ષિણ- મધ્ય મુંબઇમાં મજબુત સ્થાન જાળવી રાખ્યું છે. શિંદે શિવસેનાએ પુર્વ સાંસદ રાહુલ શેવાળેની ભાભી વૈશાલી શેવાળે (વોર્ડ 183, ચેમ્બુર), પુર્વ ધારાસભ્ય સદા સર્વાકરના પુત્ર સમાધાન અને પુત્રી પ્રિયાને વર્લી-માહિમના વોર્ડ નં.194 અને 191માં ટિકીટ આપી હતી. જયારે કુર્લાના ધારાસભ્યના પુત્ર જયને કુર્લાના વોર્ડ નં.169માં ઉતારવામાં આવ્યા હતા. શિવસેનાના સાંસદ રીવીન્દુ વાયકરની પુત્રી દીપ્તિ વાકર પોટનિકને જોગેશ્વરીના વોર્ડ નં.73માં ટિકીટ અપાઇ હતી. આ બધા હારી ગયા છે.
ભાંડુયના ધારાસભ્ય અશોક પાટીલના પુત્ર રૂપેશ અને પુર્વ કોર્પોરેટરની પત્ની અશ્વિની રાંડે પણ ઠાકરે-મનસે ગઠબંધન સામે હારી ગયા હતા. જો કે પુર્વ ધારાસભ્ય યામિની જાધવ ભાયખલાથી જીત્યા છે. વોટશેરની દ્રષ્ટીએ પણ ભાજપ પછી ઉધ્ધવ ઠાકરેની શિવસેનાને 13.13 ટકા મત મળ્યા છે. એ સામે શિંદે શિવસેનાને માત્ર પાંચ ટકા મળ્યા છે.
