Site icon Gujarat Mirror

‘દુનિયા એક નહીં થવા દે’ એવા ડરે તાલાલા પંથકમાં પ્રેમી પંખીડાનો સજોડે આપઘાત

સગીરા અને યુવાને ગળેફાંસો ખાઈ લીધો, પરિવારમાં શોક છવાયો

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના બોરવાવ ગીર ગામે આજે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. પ્રેમ સંબંધમાં સમાજ કે પરિવાર આડે આવશે અને દુનિયા એક નહીં થવા દે તેવા ડરથી એક યુવક અને સગીરાએ સાથે મળીને આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. યુવકના ઘરે જ બંને પ્રેમીપંખીડાએ આપઘાત કરી દીધો છે. ત્યારે બંને પરિવારો ઘટનાને લઈને શોકમાં છે. પરિવારો બંનેના સંબંધથી અજાણ હોવાનું કહી રહ્યા છે.

મળતી માહિતી મુજબ, આજે સવારે અંદાજે 11:00 વાગ્યાના અરસામાં બોરવાવ ગીર ગામે રહેતા એક યુવકના ઘરે આ ઘટના બની હતી. યુવક અને સગીરાએ એક જ મકાનમાં સાથે ગળાફાંસો ખાઈ જીવનલીલા સંકેલી લીધી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ આ પ્રેમ પ્રકરણ હોવાનું અને સામાજિક વિરોધના ડરથી આ આત્યંતિક પગલું ભર્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

ઘટનાની જાણ થતા જ તાલાલા પોલીસના બોરવાવ બીટના જમાદાર પ્રવીણ વાદી સહિતનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે અને ત્યારબાદ હોસ્પિટલે દોડી ગયો હતો. પોલીસે બંનેના મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ માટે તાલાલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા છે.

બોરવાવ ગીરના લુશાળા રોડ ઉપર પાકિસ્તાન વિસ્તાર તરીકે ઓળખાતા રહેણાક વિસ્તારમાં એક મકાનમાં મૃતકના મકાનમાં યુવક ભાવેશ અને સગીરા હીનાબેને સામૂહિક આપઘાત કરી ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી દેતા બોરવાવ ગામ તથા તાલાલા પંથકમાં ચકચાર મચી છે. એકસાથે બેના મોતના સમાચારથી બોરવાવ ગીર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ મામલે તાલાલા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. બંને વચ્ચેના સંબંધો અને આપઘાત પાછળના ચોક્કસ કારણો જાણવા પોલીસ પરિવાજનોની પૂછપરછ કરી રહી છે.

મૃતક યુવાનની માતા સીમમાં લાકડા લેવા ગયાં હતાં. સવારે 10:30 વાગે યુવકે તેમની માતાને ફોન કરેલો કે હું લાકડાનો ભારો સામો લેવા આવું તેની માતાએ કીધું કે ના હું હમણાં આવું છું, ત્યારે માતા ઘરે પહોંચી ત્યારે યુવક ભાવેશની સાથે સગીરા એક દોરીમાં બે પાસા બનાવી એક ખુરસી ઉપર ચડી અને ખુરસી પગેથી ફંગોળી દઈ બંનેએ જોડે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.

Exit mobile version