કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે મુખ્યમંત્રી અને કલેક્ટરો સાથે દિલ્હીથી રિવ્યૂ બેઠક યોજી; બોર રિચાર્જમાં 90 ટકા રકમ કેન્દ્ર સરકાર આપશે
ગુજરાતમાં આગામી ચોમાસા પહેલા પાણીના સંગ્રહ અને જળસંચય માટે રાજ્ય સરકારે કમર કસી છે. રાજ્યમાં પાણીની સમસ્યા ભવિષ્યમાં ન સર્જાય તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલએ તમામ જિલ્લા કલેકટરોને યુદ્ધના ધોરણે કામ કરવા આહવાન કર્યું છે.
ભારત સરકારના જળશક્તિ મંત્રાલય અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી એક મહત્વપૂર્ણ વીડિયો કોન્ફરન્સમાં જળસંચયના કામોની સમીક્ષા કરવામાં આવી હતી.
આ બેઠકમાં મુખ્યમંત્રી સ્પષ્ટ કર્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનરી લીડરશીપ હેઠળ શરૂૂ કરાયેલું ’કેચ ધ રેઈન’ અભિયાન ગુજરાતમાં વધુ અસરકારક રીતે લાગુ કરવું છે. તેમણે “જળસંચય જન ભાગીદારી 2.0” અભિયાન અંતર્ગત ગુજરાતની અગ્રેસરતા જાળવી રાખવા પર ભાર મૂક્યો હતો. દિલ્હીથી કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ અને સચિવ કાન્તારાવ જોડાયા હતા, જ્યારે ગાંધીનગરથી મુખ્ય સચિવ એમ.કે. દાસ અને વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠકમાં બનાસકાંઠા, કચ્છ અને રાજકોટના કલેકટરોએ તેમના જિલ્લામાં થયેલી કામગીરીનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું અને આગામી આયોજનની વિગતો આપી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જિલ્લા કલેકટરોને તાકીદ કરી હતી કે વરસાદી પાણીના સંગ્રહ માટેના કામો ભવિષ્યની જરૂૂરિયાતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવે. તેમણે ખાસ ઉલ્લેખ કર્યો કે કેન્દ્ર સરકાર દ્વારા જળસંચય જન ભાગીદારી યોજના હેઠળ રાજ્યને ફાળવવામાં આવેલી 553 કરોડ રૂૂપિયાની ગ્રાન્ટનો માર્ચ-2026 પહેલા સંપૂર્ણ ઉપયોગ થઈ જવો જોઈએ. આ માટે જળસંચયના કામો તાત્કાલિક ધોરણે હાથ ધરવા સૂચના અપાઈ હતી.
વધુમાં, મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે દરેક ધારાસભ્યને મળતી 50 લાખ રૂૂપિયાની ગ્રાન્ટનો ઉપયોગ પણ જિલ્લામાં જળસંગ્રહના કામો માટે થાય તે સુનિશ્ચિત કરવું જોઈએ. તેમણે જિલ્લાઓ વચ્ચે જળસંચયના કામોમાં એક તંદુરસ્ત હરીફાઈ થાય તેવી હિમાયત કરી હતી.
કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે ગુજરાતની કામગીરીને દેશ માટે ’રોલ મોડેલ’ ગણાવી હતી. તેમણે એક મહત્વની જાહેરાત કરતા કહ્યું હતું કે જુના બોર રિચાર્જ કરવા માટે હવે 90 ટકા રકમ કેન્દ્ર સરકાર આપશે, જેનાથી ખેડૂતો અને સામાન્ય લોકોને મોટો ફાયદો થશે. તેમણે આ કામગીરીમાં એનજીઓને જોડવા પર ભાર મૂક્યો હતો.
બે મહિનામાં દેશમાં 1 કરોડથી વધુ જળ સંગ્રાહક સ્ટ્રકચર ઉભા કરવાનો ટાર્ગેટ
કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે વધુમાં જણાવ્યું કે ’વિકસિત ભારત ગેરેન્ટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન’ (ગ્રામીણ) યોજનાના ફંડમાંથી 40 ટકા રકમ જળસંચયના કામો માટે વાપરી શકાશે. આગામી 31 મે, 2026 સુધીમાં દેશભરમાં એક કરોડથી વધુ જળસંગ્રાહક સ્ટ્રક્ચરો ઉભા કરવાનો લક્ષ્યાંક છે. ઉલ્લેખનીય છે કે જળ સંચય જન ભાગીદારી-1 હેઠળ ગુજરાતમાં 1.33 લાખથી વધુ કામો પૂર્ણ થયા છે, જેનાથી ભૂગર્ભ જળ સ્તરમાં સુધારો જોવા મળ્યો છે.

