Connect with us

સૌરાષ્ટ્ર

સોરઠ-હાલાર પંથકમાં સ્વચ્છતા અભિયાન સતત ચાલુ : અનેક સ્થળોએ સાફ સફાઈ

Published

on

સમગ્ર ગુજરાત, સૌરાષ્ટ્રની સાથે સમગ્ર સોરઠ અને હાલાર પંથકમાં પણ ઠેર ઠેર સ્વચ્છતા અભિયાન હાથ ધરાઈ રહ્યાં છે. આ અભિયાનમાં સામાજિક, રાજકીય તેમજ સેવાભાવી સંગઠનોના આગેવાનો અગ્રણીઓ સામેથી જોડાતા હોવાનું જાણવા અને જોવા મળ્યું છે. સપ્તાહના પ્રારંભે સોમવારે સોરઠ હાલારમાં હાથ ધરાયેલા સ્વચ્છતા અભિયાનનાં અહેવાલો અત્રે પ્રસ્તુત છે.
વેરાવળ એસ.ટી.ડેપો
સમગ્ર દેશમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનની સફાઈ ઝુંબેશ પૂરજોશમાં ચાલી રહી છે. સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જુનાગઢ વિભાગના વેરાવળ એસ ટી ડેપો અને વેરાવળ રેલવે સ્ટેશનની સાફ સફાઇ કરવામાં આવી હતી.
જેમા ‘સ્વચ્છતા એ જ સેવા’ અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્યમાં બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશનની સઘન સાફ સફાઈ કરી પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે જિલ્લાના વેરાવળ ખાતે બસ સ્ટેશન અને વેરાવળ રેલવે સ્ટેશનની સાફ સફાઈ કરવામાં આવી હતી. જેમાં રેલવે સ્ટેશન અને બસ સ્ટેશનમાં એસ ટી વર્કશોપ સહિતની જગ્યાઓએથી ખાલી કપ, બોટલો, પ્લાસ્ટિક સહિતના નકામા કચરાને દુર કરવા સહિતની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. આ સફાઈ પ્રવૃતિમાં વોર્ડ નંબર -8ના કાઉન્સિલર વેરાવળ ડેપો મેનેજર શામળા, ડાયારામ મેસવાણીયા તેમજ રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, અને વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલીકા વગેરે વિભાગના કર્મચારીઓ જોડાયા હતા.
કેશોદ એસ.ટી.બસ સ્ટેશન
કેશોદ એસ.ટી.બસ સ્ટેશન ખાતે ધારાસભ્ય દેવાભાઈ માલમ. ભાજપ સંગઠન તાલુકા પ્રમુખ ગોવિંદભાઈ બારીયા.. કેશોદ શહેર સંગઠન પ્રમુખ પ્રવિણભાઈ ભાલાળા. તાલુકા પંચાયત ઉપપ્રમુખ જૈતાભાઈ સીસોદીયા. એસ.ટી.ડેપો મેનેજર મનસુખભાઈ. એટીઆઇ હમીરભાઈ. એસ.ટી. પાર્સલ વિભાગમાથી સિદ્ધરાજસિંહ રાયજાદા સહિત શહેર અને તાલુકાના હોદેદારો અને એસ.ટી.સ્ટાફે સફાઇ હાથ ધરી હતી જેમાં વૃક્ષોના પાંદડા કપાયેલી ડાળીઓ રોડ પર એકઠો કરાયેલો કચરો એક ટ્રેક્ટરમા ભરી ડમ્પીંગ સ્ટેશન ખાતે લઇ જઇ ઠલવાયો હતો.
કોડિનાર
સ્વચ્છતા હી સેવા સફાઇ અભિયાન હેઠળ આજરોજ કોડીનાર નગરપાલિકા દ્વારા શહેરમાં ડો બાબા સાહેબ આંબેડકર, છત્રપતિ શિવાજી મહારાજ સહિતના મહાનુભાવોની પ્રતિમાની સફાઈ કામગીરી તેમજ પ્રતિમા આસપાસના વિસ્તારોને પણ સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત સાફ સફાઇ કરવામાં આવી હતી. આ સ્વચ્છતા ઝુંબેશ કોડીનાર શહેરના સફાઇ કર્મચારીઓ તથા એનજીઓએ સંયુક્ત રીતે હાથ ધરી હતી. જેમાં ડો.બાબા સાહેબ આંબેડકર સહિત વિવિધ સ્વાતંત્ર્ય સૈનિકો તેમજ મહાનુભાવોની પ્રતિમાઓ અને તેમના આજુબાજુના વિસ્તારની સફાઇ કરવામાં આવી હતી.
ભાટિયા
સ્વચ્છતા હી સેવાને ખરા અર્થમાં સાર્થક કરવા 16 ડિસેમ્બર સુધી ‘સ્વચ્છતા એજ સેવા’ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. સ્વચ્છતા હી સેવા સફાઈ ઝુંબેશ પુરજોશમાં ચાલી રહી છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ ઠેર ઠેર સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે. આ અંતર્ગત કલ્યાણપુરના ભાટિયા ગામમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત રેલ્વે સ્ટેશન ખાતે સફાઈ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અધિકારીઓ, અગ્રણીઓ, સફાઈ કામદારોએ સાથે જોડાઈને રેલ્વે સ્ટેશનની સાફ સફાઈ કરવામાં આવી હતી.
દેવભૂમિ દ્વારકા
મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે તેમના સ્વચ્છતા અંગેના આદર્શ વિચારોને સાર્થક કરવા વડાપ્રધાનની પ્રેરણાથી સમગ્ર દેશમાં પસ્વચ્છતા હી સેવાથ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળ ગુજરાત રાજ્યમાં પણ આ અભિયાન જન ભાગીદારી થકી વધુ વ્યાપક બન્યું છે અને રાજ્યમાં નિત્ય સ્વચ્છતાની ગુંજ ફેલાઈ છે. ગુજરાતમાં આગામી બે મહિના સુધી આ અભિયાનને લંબાવીને સમગ્ર રાજ્યને સ્વચ્છ, નિર્મળ અને સુઘડ બનાવવા રાજ્ય સરકાર દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સફાઈ ઝુંબેશને વધુ અસરકારક બનાવવા જનભાગીદારી થકી ઠેર ઠેર જનભાગીદારી થકી સફાઈ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે અને પરિણામે આ ઝુંબેશએ જન આંદોલન રૂપ ધારણ કર્યું છે. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રખ્યાત ધાર્મિક સ્થળો પર સફાઈ અભિયાન ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. જેમાં બેટ દ્વારકા તેમજ હાથલા મંદિર ખાતે સફાઈ ઝુંબેશ હાથ ધરી, એકત્રિત થયેલા કચરાના નિકાલ માટે વ્યવસ્થા હાથ ધરવામાં આવી હતી.

ગુજરાત

ભાવનગરમાં રૂા.35 લાખના દારૂ-બીયર ભરેલું ટેન્કર પકડાયું

Published

on

By

ભાવનગરના વરતેજ ગામમાંથી પોલીસે ઈંગ્લીશ દારૂની 878 પેટી તેમજ 78 પેટી બિયર ભરેલા અશોક લેલેન્ડ કંપનીના ટેન્કર સાથે બે પરપ્રાંતિય શખ્સને ઝડપી લઇ રૂ.35 લાખ ઉપરાંતની કિંમતનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો તેમજ ટેન્કર અને મોબાઇલ મળી કુલ રૂ. 45.36 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. અંબાલાથી દારૂ અને બિયરનો જથ્થો ભરેલું આ ટેંકર સોમનાથ ખાતે જતું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું.

આ અંગે પ્રાપ્ત વિગત મુજબ વરતેજ પોલીસ કાફલો નારી ચોકડી નજીક પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે, ઇંગ્લિશ દારૂ અને બીયરનો મોટો જથ્થો ભરેલું ટેન્કર ધોલેરાવાળા રોડથી ભાવનગર તરફ આવી રહ્યું છે. જે બાતમીના આધારે વરતેજ પોલીસે વરતેજ ગામના સરકારી દવાખાના પાસે વોચમાં રહીને રોડ પર પસાર થઈ રહેલા અશોક લેલેન્ડ કંપનીના સફેદ બોડીના ટેન્કર નં. જી.જે.06 – એ.ઝેડ.- 9223 ને અટકાવીને ટેન્કરની સલાશી લેતા ટેન્કરની અંદરથી ઇંગ્લિશ દારૂની 878 પેટી ( બોટલ નંગ-10536,કિં. રૂ.33,36,000) તથા બિયરની 78 પેટી (ટીન નંગ -1872, કિં.રૂ. 1,87,200) મળી આવતા વરતેજ પોલીસે ટેન્કરના ચાલક દિનેશકુમાર ક્રિષ્નારામ બીશ્નોઈ (રહે. સુદાબેરી, તા.ગુડામાલાની, જિ. બાડમેર, રાજસ્થાન) તથા કલીનર રમેશકુમાર મંગલારામ બીશ્નોઈ (રહે. સોમારડી, થાના છેડવા, જિ. બાડમેર, રાજસ્થાન) ની ધરપકડ કરી ઇંગલિશ દારૂ તેમજ બિયરનો જથ્થો, 02 મોબાઈલ, રૂ. 5,000 રોકડા તેમજ ટેન્કર મળી કુલ રૂ. 45,36,200નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસ પૂછપરછમાં જગદીશ બિશ્નોઇ ઉર્ફે જેડી (રહે. સાંચોર રાજસ્થાન)ના કહેવાથી હરિયાણાના અંબાલામાંથી એક અજાણ્યા ઈસમે દારૂ અને બિયરનો જથ્થો ભરી આપ્યો હોવાનું અને આ જથ્થો ગુજરાતના સોમનાથ ખાતે લઈ જવાનો હોવાનું ઝડપાયેલા બંને શખ્સએ પોલીસને જણાવ્યું હતું. વરતેજ પોલીસે આંતરરાષ્ટ્રીય દારૂની હેરાફેરીમાં સામેલ પાંચ શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

Continue Reading

jamnagar

શેખપાટ ગામમાં 70 વર્ષના વૃધ્ધનું વીજઆંચકો લાગતાં અપમૃત્યુ

Published

on

જામનગર તાલુકાના શેખપાટ ગામમાં રહેતા 70 વર્ષના બુઝુર્ગને પોતાના ઘરે ઈલેક્ટ્રીક લેમ્પ બદલાવતી વેળાએ અચાનક વીજ આંચકો લાગ્યો હતો, અને તેઓનું સ્થળ પર જ મૃત્યુ નીપજયું હતું. જે મામલે પોલીસ તપાસ ચલાવે છે. આ બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના શેખપાટ ગામમાં રહેતા ગોકરભાઈ ભીમાભાઇ ચાવડા નામના 70 વર્ષના સતવારા જ્ઞાતિના બુઝુર્ગ કે જેઓ પોતાની વાડીની ઓરડી પાસે લેમ્પ બદલાવવાનું કામ કરતા હતા, જે દરમિયાન પોતાને ઇલેક્ટ્રીક લેમ્પ બદલાવતી વખતે એકાએક વીજ આંચકો લાગતાં તેઓ બેભાન થઈને નીચે પટકાઈ પડ્યા હતા. જેઓને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જયાં ફરજ પરના તબીબે તેઓનું મૃત્યુ નીપજયું હોવાનું જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્ર કરમશીભાઈ ગોકરભાઈ ચાવડાએ પોલીસને જાણ કરતાં પંચકોશી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફે ઘટના સ્થળે દોડી જઈ મૃતદેહનો કબજો સંભાળ્યો છે, અને પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

Continue Reading

jamnagar

સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષસ્થાને ઠેબા ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ

Published

on

સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષસ્થાને જામનગર તાલુકાના ઠેબા ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો, જેમાં તેઓએ કહ્યું હતું કે, “વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી સમગ્ર દેશ વિકાસ માટે એકજુથ બની રહ્યો છે, અને નાગરિકો પોતાના અધિકારો માટે જાગૃત બની રહ્યા છે”.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સક્ષમ માર્ગદર્શન તળે ગત તા.15મી નવેમ્બરના રોજ જનજાતીય ગૌરવ દિવસ થી સમગ્ર દેશમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ યાત્રા દરમિયાન અત્યાર સુધીમાં 30 લાખ જેટલા નાગરિકો સહભાગી બન્યા છે, અને વિવિધ યોજનાઓ વિષે જાણકારી મેળવી શક્યા છે. જે અંતર્ગત, સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષસ્થાને જામનગર તાલુકાના ઠેબા ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના અધ્યક્ષ અને સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં 15 દિવસથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમમાં અત્યાર સુધીમાં 30 લાખ લોકો જોડાયા છે, અને તેઓ વિવિધ સરકારી યોજનાઓથી લાભાન્વિત બની રહ્યા છે. કાર્યક્રમમાં સમાવિષ્ટ સંકલ્પ રથનું નામ બદલીને તેને ”મોદીજીની ગેરેન્ટી વાળી ગાડી” આવા નવા નામથી નાગરિકો તેને ઓળખી રહયા છે. વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતનું સપનું સૌએ ભેગા મળીને સાકાર કરવાનું છે.
ઉલ્લેખનીય છે કે, કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વર્ચ્યુઅલ માધ્યમ થકી દેશભરના નાગરિકો સાથે જોડાયા હતા. તેમજ દેશભરમાંથી વિવિધ યોજનાઓના 5 લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. વડાપ્રધાનશ્રીના હસ્તે દેશભરમાં 25,000 નવા પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રનું ઈ-લોન્ચિંગ કરવામાં આવ્યું હતું, અને 10,000મા પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રનો ઝારખંડ રાજ્યના દેવઘર જિલ્લામાં પ્રારંભ કરવામાં આવ્યો હતો. વડાપ્રધાનશ્રી દ્વારા નમો ડ્રોન દીદી કાર્યક્રમ લોન્ચ કરવામાં આવ્યો છે, જેના થકી મહિલા ખેડૂતોને ડ્રોન ચલાવવા અંગે તાલીમ આપવામાંં આવશે.
સાંસદ અને અન્ય મંચસ્થ મહાનુભાવોના હસ્તે ઠેબા ગ્રામ પંચાયતને હર ઘર જલ યોજના અંતર્ગત હર ઘર જલ અભિનંદન પત્ર અને સ્વામિત્વ યોજના હેઠળ રેકોર્ડ ડીઝીટલાઈઝેશનના પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યા હતા. તેમજ મહાનુભાવો દ્વારા વિવિધ યોજનાઓની જાણકારી આપતા સ્ટોલ્સની મુલાકાત લેવામાં આવી હતી.
કાર્યક્રમમાં ઠેબા પ્રાથમિક શાળાના વિધાર્થીઓ દ્વારા “ધરતી કરે પુકાર- પ્રાકૃતિક કૃષિ” વિષય પરનું નાટક રજૂ કરવામાં આવ્યું હતું. સરકારની વિવિધ યોજનાઓની જાણકારી આપતી વિકસિત ભારત સંકલ્પ યાત્રા ફિલ્મનું પ્રસારણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મેરી કહાની મેરી જુબાની સાફલ્ય ગાથા કાર્યક્રમમાં લાભાર્થીઓએ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ થકી તેઓને મળેલા લાભો અંગે પોતાના અનુભવ વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, સ્વામિત્વ યોજના હેઠળ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ, પ્રધાનમંત્રી ઉજજવલા યોજના, શ્રમિક અન્નપૂર્ણા યોજના અને અન્ય યોજનાઓના લાભાર્થીઓને મંજૂરી પત્રોનું વિ તરણ કરવામાં આવ્યું હતું.
સમારોહના અંતે આભારવિધિ જામનગર તાલુકા વિકાસ અધિકારીશ્રી સરવૈયાભાઈએ કરી હતી. આ કાર્યક્રમમાં, જિલ્લા પંચાયત પ્રમુખ મેયબેન ગરસર, જિલ્લા કલેકટર બી.એ.શાહ, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ગઢવી, પ્રાંત અધિકારી (ગ્રામ્ય) ડોબરીયા, જામનગર તાલુકા પંચાયત પ્રમુખ સંગીતાબેન દુધાગરા, કારોબારી સમિતિના ચેરમેન ચંપાબેન પરમાર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ભાયા, નાયબ પશુપાલન નિયામક ડો.તેજસ શુક્લ, આજુબાજુના ગામોમાંથી પધારેલા અગ્રણીઓ, લાભાર્થીઓ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

Continue Reading

Trending