સુપ્રીમ કોર્ટ અડધીરાત્રે મમતા સરકારને ઝાટકી, દરેક વસ્તુને રાજકીય ચશ્માથી જોવા સામે નારાજગી
પશ્ચિમ બંગાળમાં મતદાર યાદીના વિવાદને પગલે સાત ન્યાયિક અધિકારીઓને બંધક બનાવવાની ઘટનાના પડઘા હવે સુપ્રીમ કોર્ટમાં પડ્યા છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંતે આ ઘટનાને શરમજનક ગણાવતા કહ્યું કે, જ્યારે તેમણે મોડી રાત્રે કડક આદેશ આપ્યો ત્યારે જ રાજ્યનું વહીવટીતંત્ર હરકતમાં આવ્યું હતું.
સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે પશ્ચિમ બંગાળના એડવોકેટ જનરલને સંબોધતા અત્યંત કડક શબ્દોનો ઉપયોગ કર્યો હતો. CJIએ ખુલાસો કર્યો કે, હું રાત્રે 2 વાગ્યા સુધી નજર રાખી રહ્યો હતો. બંધક બનાવાયેલા ન્યાયિક અધિકારીનો 5 વર્ષનો બાળક ઘરે એકલો હતો, છતાં પ્રશાસન નિષ્ક્રિય હતું. કોર્ટે બંગાળને દેશનું સૌથી વધુ ધ્રુવીકૃત રાજ્ય ગણાવ્યું અને કહ્યું કે અહીં દરેક વસ્તુને રાજકીય ચશ્માથી જોવામાં આવે છે. અદાલતે આ ઘટનાને પૂર્વ આયોજિત ગણાવી હતી, જેનો હેતુ ચૂંટણી પ્રક્રિયામાં રોકાયેલા અધિકારીઓનું મનોબળ તોડવાનો હતો.
કોર્ટે નોંધ્યું કે, જ્યારે હિંસા થઈ રહી હતી ત્યારે ન તો જિલ્લા મેજિસ્ટ્રેટ કે ન તો એસપી ઘટનાસ્થળે પહોંચ્યા હતા. કલકત્તા હાઈકોર્ટના ચીફ જસ્ટિસે પત્ર લખીને જાણ કરવી પડી અને અંતે ડીજીપી અને ગૃહ સચિવને બોલાવવા પડ્યા હતા. સુપ્રીમ કોર્ટે મુખ્ય સચિવ અને ડીજીપીના આચરણને સદંતર નિંદનીય ગણાવ્યું છે.
પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી પહેલા S.I.R. (Special Intensive Revision) પ્રક્રિયા પૂર્ણ થયા બાદ વિપક્ષોએ આરોપ લગાવ્યો છે કે મોટા પાયે મતદારોના નામ યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા છે.
આ મુદ્દે માલદાના કાલિયાચક-II BDO ઓફિસમાં અધિકારીઓને ઘેરી લેવામાં આવ્યા હતા. ભાજપ આઈટી સેલના અમિત માલવીયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને દાવો કર્યો કે, નેશનલ હાઈવે-12 જામ કરી દેવાયો હતો અને ઉત્તર-દક્ષિણ બંગાળનો સંપર્ક કપાઈ ગયો હતો.
ત્રણ મહિલાઓ સહિત સાત અધિકારીઓ અંદર ફસાયેલા હતા અને સ્થાનિક પોલીસ મૂકપ્રેક્ષક બની રહી હતી. પશ્ચિમ બંગાળમાં 23 અને 29 એપ્રિલે મતદાન થવાનું છે. આ સંજોગોમાં ન્યાયિક અધિકારીઓ પરના હુમલા અને સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ ચૂંટણી પંચ સુરક્ષા વ્યવસ્થામાં મોટા ફેરફાર કરે તેવી શક્યતા છે.

