બૃહન્મુંબઈ મહાનગરપાલિકા (BMC)ના ચૂંટણી પરિણામો બાદ મુંબઈના રાજકારણમાં સત્તા માટેની ખેંચતાણ ચરમસીમાએ પહોંચી ગઈ છે. આ સત્તા સંગ્રામની વચ્ચે, ’કિંગમેકર’ની ભૂમિકામાં આવેલા મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ એક મોટો અને કડક નિર્ણય લીધો છે. શિંદે જૂથની શિવસેનાએ ’હોર્સ ટ્રેડિંગ’ની આશંકાને પગલે પોતાના તમામ નવા ચુંટાયેલા કાઉન્સિલરોને મુંબઈની 5-સ્ટાર તાજ લેન્ડ્સ એન્ડ હોટલમાં શિફ્ટ કરવાનો નિર્ણય કર્યો છે.
ઇખઈ ચૂંટણીમાં શિંદે જૂથની શિવસેનાએ 29 બેઠકો જીતી છે. વર્તમાન રાજકીય સમીકરણો મુજબ, ભાજપ પોતાના દમ પર બહુમતીનો આંકડો પાર કરી શકી નથી. આવી સ્થિતિમાં, શિંદે જૂથની ભૂમિકા નિર્ણાયક બની ગઈ છે અને તેમને જ ’સત્તાની ચાવી’ માનવામાં આવી રહ્યા છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે શિંદે સેનાના સમર્થન વિના ભાજપ માટે BMCમાં સરકાર બનાવવી અશક્ય છે.પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર, શિંદે સેનાના તમામ કાઉન્સિલરોને હોટલ પહોંચી જવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. આ તમામ કાઉન્સિલરોને આગામી ત્રણ દિવસ સુધી હોટલમાં જ રાખવામાં આવશે, જેથી કોઈપણ પ્રકારના હોર્સ ટ્રેડિંગ કે જૂથમાં તૂટફૂટના પ્રયાસને નિષ્ફળ બનાવી શકાય.
સૂત્રોના જણાવ્યા અનુસાર, એકનાથ શિંદે પોતે સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને જ્યાં સુધી સત્તા માટે ઔપચારિક દાવો ન થાય ત્યાં સુધી કાઉન્સિલરોને એકજૂટ રાખવા માગે છે.

