Site icon Gujarat Mirror

કેન્દ્રીય એજન્સીઓ સ્વાયત રીતે કામ નહીં કરે ત્યાં સુધી વિશ્ર્વસનીય બની નહીં શકે

ઘણા વર્ષોથી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની કામગીરી પર આંગળીઓ ઉંચી થઈ રહી છે. વિપક્ષી પક્ષોએ સુપ્રીમ કોર્ટને મની લોન્ડરિંગ નિવારણ કાયદા હેઠળ મનસ્વી દરોડા રોકવાની અપીલ કરી હતી. વિપક્ષ સતત કહી રહ્યું છે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સરકારના ઈશારે અને બદલાની ભાવનાથી કાર્યવાહી કરે છે અને લોકોને હેરાન કરવાના ઈરાદાથી જેલના સળિયા પાછળ ધકેલી દે છે. પરંતુ શરૂૂઆતમાં કોર્ટે ઇડીની કાર્યવાહીમાં દખલ કરવાનો કે રોકવાનો ઇનકાર કરી દીધો હતો કારણ કે ભ્રષ્ટાચાર ઉપરાંત આવા કેસ આતંકવાદી સંગઠનોને ફાયદો પહોંચાડવા સાથે પણ સંબંધિત હોઈ શકે છે.

પરંતુ પછી એવું જોવા મળ્યું કે ડિરેક્ટોરેટ અયોગ્ય રીતે લોકોની ધરપકડ કરી રહ્યું હતું અને તેની સત્તાનો દુરુપયોગ કરી રહ્યું હતું અને તેમને બિનજરૂૂરી રીતે ત્રાસ આપી રહ્યું હતું, તેથી કોર્ટે તેને શિષ્ટાચારનો પાઠ ભણાવ્યો. છતાં ઇડીના વલણમાં કોઈ ફેરફાર થયો નથી. ત્યારબાદ કોર્ટે પૂછ્યું કે તમારી ચાર્જશીટની તુલનામાં સજા આટલી ઓછી કેમ છે? ત્યારબાદ સુપ્રીમ કોર્ટે કડક સૂચના આપી હતી કે નક્કર પુરાવા વિના કોઈની સામે ચાર્જશીટ દાખલ ન કરવી જોઈએ. પણ તેની પણ તેના પર કોઈ અસર થઈ નહીં. હવે સુપ્રીમ કોર્ટે ઠપકો આપ્યો છે અને કહ્યું છે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ બધી હદો પાર કરી રહ્યું છે. આ સંઘીય માળખાનું ઉલ્લંઘન છે.


હકીકતમાં, તપાસ એજન્સીઓ સરકારની ઇચ્છા મુજબ કાર્યવાહી કરતી જોવા મળે છે. એક રીતે, તે સરકાર માટે તેના વિરોધીઓ પર કડક કાર્યવાહી કરવાનું સાધન બની ગઈ છે. હકીકત એ છે કે ઇડીએ છેલ્લા દસ-અગિયાર વર્ષમાં ચાર હજારથી વધુ કેસોમાં ચાર્જશીટ દાખલ કરી છે, પરંતુ સજાનો દર તેમાંથી એક ટકા કરતા પણ ઓછો રહ્યો છે. ફરીથી, મોટાભાગના કેસ ફક્ત વિરોધ પક્ષોના નેતાઓ અથવા સરકાર પ્રત્યે મૈત્રીપૂર્ણ ન હોય તેવા અધિકારીઓ સામે જ નોંધાયા હતા. આ ઘટનાઓથી ઇડી, આવકવેરા વિભાગ અને સીબીઆઇ જેવી તપાસ એજન્સીઓની વિશ્વસનીયતા પર ખરાબ અસર પડી છે. જ્યાં સુધી આ એજન્સીઓ સ્વાયત્ત રીતે, સરકારી દબાણથી મુક્ત થઈને કામ નહીં કરે, ત્યાં સુધી તેમની વિશ્વસનીયતા પુન:સ્થાપિત થઈ શકશે નહીં.

Exit mobile version