Site icon Gujarat Mirror

આદિવાસીઓને વનવાસી કહેવું બિરસા મુંડાનું અપમાન છે : રાહુલ ગાંધી

લોકસભામાં રાહુલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને મોદી પર પ્રહારો કર્યા

ગુજરાત પ્રવાસે આવેલા કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને પ્રધાનમંત્રી મોદી પર પ્રહારો કર્યા હતા. રાહુલે કહ્યું કે, જ્યારે પણ તેઓ જાતિ આધારિત વસ્તી ગણતરીની વાત કરે છે તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને પ્રધાનમંત્રી તેનો વિરોધ કરે છે. વડોદરામાં આયોજિત આદિવાસી અધિકાર સંવિધાન સંમેલનને સંબોધન કરતા કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે આદિવાસીઓને વનવાસી કહેવું સંવિધાન, આદિવાસી નેતા બિરસા મુંડાનું અપમાન છે. તેમણે કહ્યું કે, આ પ્રકારના શબ્દોનો ઉપયોગ આદિવાસી સમાજની ઓળખને નબળી કરે છે. તેમણે કહ્યું કે, આદિવાસી નેતા બિરસા મુંડાની વિરાસત અને તેમના વિચારો હુમલો થઈ રહ્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે અમુક લોકો સંવિધાનની વાત કરે છે, પણ આ જ લોકો આદિવાસીઓના અધિકારોના નબળા કરી રહ્યા છે.

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ અમેરિકા-ભારત વેપાર ડિલને લઈને કેન્દ્ર પર ગંભીર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે આ ડિલમાં પહેલી વાર કોઈ ભારતીય પ્રધાનમંત્રીએ દેશના કૃષિ ક્ષેત્રને વિદેશી પ્રોડક્ટ માટે ખોલી દીધી છે. રાહુલ ગાંધીના જણાવ્યા અનુસાર, જો અમેરિકાની કૃષિ પ્રોડક્ટ ભારતમાં રોકટોક વિના આવવા લાગશે તો તેની સીધી અસર ભારતના ખેડૂતોને થશે.

તેમણે જણાવ્યું કે, ભારતમાં ખેતીનો મોટો ભાગ હજુ પણ મહેનત અને હાથથી થતાં કામ પર નિર્ભર છે, જ્યારે અમેરિકામાં ખેતી મોટા પાયે મશીનો દ્વારા થાય છે. આવા સમયે ત્યાંની સસ્તી અને મોટા પાયે ઉત્પન્ન થતી વસ્તુઓ ભારતીય બજારમાં આવશે, તો અહીંના ખેડૂતો માટે ટક્કર લેવી મુશ્કેલ થઈ જશે. રાહુલ ગાંધીએ કહ્યું કે, આ કારણથી પહેલા કોઈ પણ પ્રધાનમંત્રીએ કૃષિ ક્ષેત્રને આવી રીતે સંપૂર્ણપણે ખુલ્લી નહોતી મૂકી. કેમકે તેનાથી ખેડૂતોની આજીવિકા પર ખતરો ઊભો થઈ શકે છે.

રાહુલ ગાંધીએ પીએમ મોદીના લોકસભામાં આપેલા ભાષણ પર સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યું કે, ઈરાનમાં યુદ્ધ જેવી ગંભીર સ્થિતિની વચ્ચે પ્રધાનમંત્રી મોદી સંસદમાંથી બહાર જતા રહ્યા. રાહુલ ગાંધીએ દાવો કર્યો કે, પીએમ મોદીએ લગભગ 25 મિનિટનું ભાષણ આપ્યું પણ તે સંસદમાં યોગ્ય રીતે ચર્ચા નથી કરી શકતા.
સંમેલનમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, સંવિધાન ખાલી એક બુક નથી, પણ આ દેશનો વિચાર અને દરેક નાગરિકોના અધિકારની ગેરંટી છે. જેમાં હજારો વર્ષ જૂનો વિચાર સામેલ છે. તેમણે આરોપ લગાવ્યો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત ભાજપના નેતા એક તરફ મહાન નેતાની મૂર્તિઓ સામે સન્માન આપે છે, પણ બીજી તરફ આદિવાસીઓના અધિકારોને નબળા પાડે છે.

વડોદરા હરણીકાંડ બાદ સસ્પેન્ડ થયેલા ભાજપના કોર્પોરેટર સહિતના કોંગ્રેસમાં જોડાયા

પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ ખેસ પહેરાવી આવકાર્યા, ભારે રાજકીય ગરમાવો

વડોદરાના રાજકારણમાં મોટા ફેરફાર, ભાજપના પૂર્વ કોર્પોરેટર આશિષ જોષી અને વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્રી દીપા શ્રીવાસ્તવ કોંગ્રેસમાં જોડાયા છે. હરણી બોટકાંડના પીડિતોના ન્યાય માટે અવાજ ઉઠાવવા બદલ ભાજપમાંથી સસ્પેન્ડ થયેલા જોષીએ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા અને વિપક્ષી નેતા તુષાર ચૌધરીની હાજરીમાં કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. ઉલેલ્ખનીય છે કે, રાહુલ ગાંધી આજે વડોદરામાં આવ્યા હતાં. ત્યારબાદ તે જતાં રહ્યા બાદ કોંગ્રેસમાં જોડાતા વડોદરાના સ્થાનિક રાજકીય સમીકરણોમાં ગરમાવો આવ્યો છે. વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા વડોદરા ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલા પૂર્વ કોર્પોરેટર અને હરણી બોટકાંડ માટે લડત આપી રહેલા આશિષ જોષી તેઓના વોર્ડના સાથી કોર્પોરેટર પારુલ પટેલ સાથે કોંગ્રેસમાં જોડાયા હતાં.

પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા, વિપક્ષના નેતા તુષાર ચૌધરી અને મુકુલ વાસણિકની હાજરીમાં તેઓએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. આશિષ જોશીએ જણાવ્યું હતું કે, હરણી બોટકાંડમાં પીડિતો માટે હું લડત આપી રહ્યો છું. ભાજપ પાસે ન્યાય માંગ્યો તો મને સસ્પેન્ડ કર્યો. હું મારા સાથે પેનલના અન્ય કોર્પોરેટર પારુલ પટેલ સાથે કોંગ્રેસમાં જોડાયો છું. અને આગામી સમયમાં ચોક્કસ ચૂંટણી લડીશ. વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના દીકરી દીપા શ્રીવાસ્તવ પણ આજે કોંગ્રેસમાં જોડાયા હતા. આ ઉપરાંત ભાયલીના પૂર્વ સરપંચ દર્પણ પટેલ, સામાજિક કાર્યકર સ્વેજલ વ્યાસ પણ કોંગ્રેસમાં જોડાયા હતા. તેઓને પ્રદેશ અધ્યક્ષ, વિપક્ષના નેતા સહિતના કોંગ્રેસના કાર્યકરોએ આવકાર્યા હતાં.

Exit mobile version