ત્રણ રાજયોમાં વિધાનસભાની ખાલી પડેલી બેઠકો પૈકી ભાજપે ગુજરાતના વડોદરાની માંજલપુર બેઠક 30000થી વધુ મતોથી જાળવી રાખી છે. પણ પ્રતિષ્ઠાની બે બેઠકો પર તેની સામે પરાજય તોળાઇ રહ્યો છે. બિહારના બાંકીપુરની બેઠક પર જનસુરાજના સ્થાપક અને ચુંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે 21માં રાઉન્ડના અંતે નિર્ણાયક 12000થી વધુ મતોની લીડ મેળવી છે. આરજેડીના ઉમેદવાર આ બેઠક પર ત્રીજા સ્થાને રહ્યા છે.
ભાજપના હાલના પ્રમુખ નીતિન નવીને ખાલી પડેલી આ બેઠક ભાજપે ગુમાવતા તેમની વ્યકિતગત શાખને મોટો ફટકો પડયો છે.
18માં રાઉન્ડના અંતે કિશોરને 38201 અને ભાજપના ઉમેદવાર નિરજકુમાર સિંહાને 26912 મત મળ્યા હતા. આરજેડીના રેખા ગુપ્તાને 9795 મત સાથે ત્રીજા સ્થાને ચાલી રહ્યા હતા. મત ગણતરીનાં કુલ 31 રાઉન્ડ છે. ભાજપ 1995થી આ બેઠક સતત જીતી રહ્યો હતો. ગત નવેમ્બરમાં યોજાયેલી વિધાનસભાની ચુંટણીમાં તેમનો 50 હજાર કરતા પણ વધુ સરસાઇથી વિજય થયો હતો. ભાજપના અધ્યક્ષ બનતા તેમણે આ બેઠક ખાલી કરી હતી.
મધ્યપ્રદેશની દતિયા બેઠક પર પણ કોંગ્રેસના ઘનશ્યામસિંહ તેમના હરીફ આશુતોષ તિવાર સામે નવમાં રાઉન્ડ પછી 10 હજારથી વધુ મતથી આગળ હતા. શરૂઆતના ત્રણ રાઉન્ડમાં ભાજપ આગળ હતો પણ પછીથી કોંગ્રેસ ઉમેદવાર આગળ નીકળી ગયા હતા. આ બેઠક પૂર્વ ગૃહમંત્રી નરોતમ મિશ્રા માટે અંગત પ્રતિષ્ઠાનો વિષય હતો. ગત ચૂંટણીમાં એક હજારથી ઓછા મતે પરાજીત થયા પછી પણ તેમને ટિકીટ આપી નહોતી. તેમના સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. એ પછી મોવડીમંડળની સમજાવટથી તેમણે પક્ષના પ્રચારની કમાન સંભાળી હતી. ગઇ ચુંટણીમાં આ બેઠક પર કોંગ્રેસના રાજેન્દ્ર ભારતીનો વિજય થયો હતો પણ અદાલતે એક કેસમાં તેમને દોષિત ઠરાવતા તેમને ગેરલાયક જાહેર કરાયા હતા.
ત્રીજી બેઠક ગુજરાતના વડોદરાની માંજલપુર હતી. જયાં પૂર્વ મંત્રી યોગેશ પટેલના નિધનથી ખાલી પડી હતી. આ બેઠક પર ભાજપના સતીશ પટેલનો કોંગ્રેસના પીઢ નેતા ભીખાભાઇ રબારી સામે 30000થી વધુ મતોથી વિજય થયો છે.

