આસામ વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીને વધુ એક મોટો ફટકો પડ્યો છે. નગાંવ લોકસભા સાંસદ અને ભૂતપૂર્વ મંત્રી પ્રદ્યુત બોરદોલોઈએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. સૂત્રોના જણાવ્યા મુજબ તેઓ ટૂંક સમયમાં ભાજપમાં જોડાઈ શકે છે, જે રાજ્યમાં રાજકીય સમીકરણ બદલી શકે છે. તેમણે પાર્ટી પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેને લખેલા પત્રમાં રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. પ્રદ્યુતે પોતાના પત્રમાં લખ્યું હતું કે, “ખૂબ દુ:ખ સાથે હું આજે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના તમામ પદો, વિશેષાધિકારો અને પ્રાથમિક સભ્યપદ પરથી મારું રાજીનામું આપું છું.” આ રાજીનામાથી કોંગ્રેસ પક્ષમાં સન્નાટો છવાઇ ગયો છે.
કોંગ્રેસમાંથી બોરદોલોઈના વિદાયને પાર્ટી માટે, ખાસ કરીને નગાંવ અને આસપાસના વિસ્તારોમાં, એક મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે. પાયાના કાર્યકરો અને મતદારોમાં તેમની મજબૂત પક્કડ છે. જોકે બોરદોલોઈએ હજુ સુધી તેમના આગામી નિર્ણયની સત્તાવાર પુષ્ટી કરી નથી, સૂત્રોના મતે ભાજપ તેમને પોતાની સાથે જોડવા માટે સક્રિય છે. જો તેઓ ઔપચારિક રીતે ભાજપમાં જોડાય છે, તો નગાંવ ક્ષેત્રમાં ચૂંટણી ગતિશીલતા સંપૂર્ણપણે બદલાઈ શકે છે.
પ્રદ્યુત બોરદોલોઈ દાયકાઓથી આસામમાં કોંગ્રેસનો એક અગ્રણી ચહેરો રહ્યા છે. તેમણે 1998માં માર્ગેરિટા મતવિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે પોતાની કારકિર્દી શરૂૂ કરી હતી. ત્યારબાદ તેમણે 2001 થી 2015 દરમિયાન આસામ સરકારમાં અનેક મહત્વપૂર્ણ મંત્રી પદો સંભાળ્યા. તેમને આસામમાં કોંગ્રેસના સૌથી મજબૂત સ્તંભોમાંના એક માનવામાં આવતા હતા, જેમણે સંગઠન અને શાસન બંનેમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. 2019ની લોકસભા ચૂંટણીમાં તેમણે કોંગ્રેસની ટિકિટ પર નગાંવ બેઠક પરથી ચૂંટણી લડી હતી અને જંગી બહુમતીથી જીત મેળવી હતી. ત્યારથી, તેઓ નગાંવ લોકસભા સાંસદ તરીકે સેવા આપી રહ્યા છે.

