Connect with us

rajkot

સિવિલ હોસ્પિટલમાં રેડિયોલોજીના NOC વગર સિટી સ્કેનના બિલ મંજૂર નહીં થાય

Published

on

દર્દીઓને ખાનગી ક્લિનિકમાં ધકેલી દેવાતા હોવાની ફરિયાદો બાદ કલેકટરનો નિર્ણય

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં પ્રાઈવેટ સંસ્થા દ્વારા દર્દીઓને મામુલી ચાર્જ સાથે સિટી સ્કેન કરી આપવાના બદલે પ્રાઈવેટ સિટી સ્કેનવાળા પાસેથી તગડુ કમિશન મેળવવા દર્દીઓને ધરાર બહાર ધકેલી દેતાં હોવાની ઉઠેલી ફરિયાદના આધારે જિલ્લા કલેકટર પ્રભવ જોષીએ સિવિલ સર્જન સાથે ચર્ચા કરી રેડિયોલોજીના એનઓસી વગર સંસ્થાના બિલ પાસ નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેનો ફાયદો સીધો જ દર્દીઓને મળશે.
રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓ સારવાર લેવા આવે છે. જેમાં થોડા સમયથી સંસ્થા દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે મુકવામાં આવેલ એમઆરઆઈ મશીન અને સિટી સ્કેન માટે આવતાં દર્દીઓમાંથી માત્ર બે થી ત્રણ દર્દીઓને જ સિટી સ્કેન કે એમઆરઆઈ કરી આપી બાકીના દર્દીઓને ધરાર બહાર ધકેલી દેતા હોવાની ફરિયાદો ઉઠી હતી.

સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ એમઆરઆઈ અને સિટી સ્કેનના સંચાલકો દ્વારા દર્દીઓ આર્થિક અને શારીરિક રીતે હેરાન થાય તેવું વર્તન કરતાં હોવાની જિલ્લા કલેકટર સુધી ફરિયાદ આવતાં આ બાબતે સિવિલ સર્જન સાથે ચર્ચા કરી સિવિલ હોસ્પિટલ ખાતે મુકવામાં આવેલ એમઆરઆઈ અને સિટી સ્કેનના સંચાલકોના બિલ રેડિયોલોજીસ્ટના એનઓસી વગર મંજુર નહીં કરવાનો નિર્ણય લીધો છે.
કલેકટરના આ નિર્ણયને પગલે દર્દીઓને મોટો ફાયદો થશે અને હવે દર્દીઓને સિટી સ્કેન કે એમઆરઆઈ કરવા માટે સિવિલ હોસ્પિટલની બહાર ધક્કા નહીં ખાવા પડે.

rajkot

રાજકોટનો કારખાનેદાર પિસ્તોલ સાથે ઝડપાયો

Published

on

શાપર વેરાવળના ગંગા ફાર્જીંગ ગેઈટ પાસે શાપર-વેરાવળ પોલીસનું સઘન વાહન ચેકીંગ ચાલુ હતું ત્યારે એક સ્કોર્પિયોના ચાલક ત્યાંથી શંકાસ્પદ હાલતમાં નીકળતાં તેને અટકાવી સ્કોર્પિયોની તલાસી લેતાં કારમાંથી 1 પિસ્તોલ, 51 જીવતા કાર્ટીસ, ખાલી મેગ્જીન મળી આવી હતી. આ સાથે તેની ધરપકડ કરી કાર અને મોબાઈલ સહિત રૂા.20.80 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આરોપીએ અગાઉની માથાકુટ ચાલતી હોય જેથી તેમણે યુપીના શખ્સ પાસેથી પિસ્તોલ લઈ સાથે રાખી હતી અને પોતે શાપરમાં કારખાનું ધરાવતો હોવાનું જાણવા મળી રહ્યું છે.
બનાવની વધુ વિગતો મુજબ, રાજકોટ રૂરલ એલસીબીના પીઆઈ વી.વી.ઓડેદરાની રાહબરીમાં પીએસઆઈ એચ.સી.ગોહિલ, ડી.જી.બડવા, એએસઆઈ રવિદેવભાઈ બારડ, હેડ કોન્સ્ટેબલ રોહિતભાઈ બકોતરા અને મનોજભાઈ બાયલ સહિતનો સ્ટાફ શાપર વેરાવળમાં આવેલા ગંગા ફોર્જીંગના ગેઈટ પાસે વાહન ચેકીંગ કરી રહ્યો હતો ત્યારે ત્યાંથી એક સ્કોર્પિયો કાર નીકળી હતી. તેને અટકાવી પોલીસ સ્ટાફે તલાસી લેતાં ચાલક પાસેથી 1 પિસ્તોલ, 51 કાર્ટીસ અને મેગ્જીન મળી આવ્યા હતાં તેમજ ચાલકનું નામ પુછતાં પોતે પોતાનું નામ કૈલાસકુમાર રામસુમીરન શુકલા (ઉ.50, રહે.રાજકોટ ધરમનગર શિવમ પાર્ક મેઈન રોડ બ્લોક નં.53-એ 150 ફુટ રીંગ રોડ ગાંધીગ્રામ મુળ શુકલાપુર ઉત્તરપ્રદેશ)હોવાનું જણાવ્યું હતું.
ચાલક કૈલાસકુમારની પુછપરછ કરતાં પોતે શાપર વેરાવળમાં કારખાનું ધરાવે છે અને તેમને અગાઉ માથાકુટ થઈ હોય જેથી યુપીના અજય કુમાર ચૌહાણ નામના શખ્સ પાસેથી આ હથિયાર ખરીદયું હતું અને સાથે રાખ્યું હતું. પોલીસે આરોપી વિરૂધ્ધ આર્મ્સ એકટ હેઠળ ગુનો નોંધી રૂા.20.80 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

Continue Reading

rajkot

કોટડાસાંગાણીના મોટી મેંગણી ગામે શ્રમિક યુવાનનો ઝેર પી આપઘાત

Published

on

કોટડા સાંગાણીના મોટી મેંગણી ગામે રહેતા યુવાને કોઈ અગમ્યકારણોસર ઝેરી દવા પી જીવન ટૂંકાવી લીધું હતું. યુવકના આપઘાતથી પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી છે.આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, કોટડાસાંગાણીના મોટી મેંગણી ગામે ખેત મજુરી અર્થે આવેલા રાકેશ સિતારામ વર્મા નામના 40 વર્ષના યુવાને ધીરૂભાઈ ઉકાભાઈ સિધ્ધપરાની વાડીએ કોઈ અગમ્ય કારણોસર સાંજના છએક વાગ્યાના અરસામાં ઝેરી દવા પી લીધી હતીં. યુવકને ઝેરી અસર થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન યુવાને હોસ્પિટલનાં બીછાને દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી.આ ઉપરાંત અન્ય બનાવમાં ગોંડલ તાલુકાના પાંચ ખીલોરી ગામે દિલીપભાઈની વાડીએ રાધિકા લક્ષ્મણભાઈ પરીહાર (ઉ.5) અને પેપીયા (ઉ.3) નામના બે બાળકો રમતા રમતા રતનજયોતના બીજ ખાઈ ગયા હતાં. બન્ને બાળકોને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.

Continue Reading

rajkot

ધોરાજીના પીપળિયા ગામે જૂની અદાવતે શાકભાજીના વેપારી પર છરી વડે હુમલો

Published

on

રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકા પીપળીયા ગામે બે વર્ષથી ચાલી આવતી અદાવતનો ખાર રાખીને બે શખ્સોએ શાકભાજીના વેપારી પર છરી અને ગુપ્તી વળે હુમલો કરી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે બન્ને હુમલાખોરોની ધરપકડ કરવાના ચક્રોગતિમાન કર્યા છે.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ, ધોરાજીના પીપળીયા ગામે રામદેવપીર સોસાયટીમાં રહેતાં રતિભાઈ જેઠાભાઈ દાફડા (ઉ.46)એ પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં હુમલાખોર તરીકે પીપળીયા ગામના જગદીશ ઉર્ફે હુશેન પ્રવિણભાઈ દાફડા, અરવિંંદ ઉર્ફે લુખ્ખો ભીખાભાઈ બાંભણીયાના નામ આપ્યા છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદી શાકભાજીની રીક્ષામાં ફેરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. બે વર્ષ પહેલા યુવાનને આરોપી જગદીશ ઉર્ફે હુશેન દાફડા સાથે માથાકુટ થઈ હતી. જે અંગે પાટણવાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પાંચ મહિના પછી પણ માથાભારે જગદીશે ફરિયાદીના પરિવાર પર હુમલો કર્યો હતો.
બે વર્ષથી ચાલી આવતી માથાકુટમાં અગાઉ સમાધાન થઈ ગયું હતું. પરંતુ ગઈકાલે ફરિયાદી પોતાના ઘરે હતો ત્યારે બન્ને આરોપીઓ ઘરે આવ્યા હતાં અને ઘર પાસે બેફામ ગાળો બોલી ફરિયાદીને ઘરની બહાર બોલાવી બન્ને આરોપીઓએ જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી છરી અને ગુપ્તી વળે હુમલો કર્યો હતો.
શાકભાજીનાં ધંધાર્થી પર બન્ને શખ્સોએ હુમલો કર્યો ત્યારે ફરિયાદીના ભાણેજે સમગ્ર ઘટનાનું વીડિયો શુટીંગ પોતાના મોબાઈલમાં કરી લીધું હતું. આ બનાવ અંગે ધોરાજી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી બન્ને આરોપીની ધરપકડ કરવાન ચક્રોગતિમાન કર્યા છે.

Continue Reading

Trending