માયાભાઈના સમર્થનમાં શક્તિ પ્રદર્શનથી માંડી કાયદાકીય લડત સુધીની તૈયારી, સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ
બગદાણામાં કોળી સમાજના આગેવાન નવનીતભાઈ પર થયેલા હુમલા બાદ સર્જાયેલો વિવાદ હવે વધુ ઘેરો બન્યો છે. આ કેસમાં લોકસાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરનું નામ સામે આવતા કોળી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ પરિસ્થિતિ વચ્ચે હવે ’આહિર સેના ગુજરાત’ એ મેદાને આવી માયાભાઈ આહિરને પૂરું સમર્થન જાહેર કરીને પોતાનું સ્ટેન્ડ ક્લિયર કર્યું છે.સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં આહિર સેના ગુજરાતની કોર કમિટીએ જણાવ્યું છે કે, તેઓ છેલ્લા કેટલાક દિવસોથી આ સમગ્ર ઘટનાક્રમ પર નજર રાખી રહ્યા હતા. આહિર સેનાએ સ્પષ્ટ કર્યું છે કે જો જરૂૂર પડશે તો તેઓ કાયદાકીય લડત કે અન્ય કોઈપણ રીતે માયાભાઈ આહિર અને આહિર સમાજના આગેવાનોની પડખે ઊભા રહેશે.
આહિર સેનાના આગેવાને વીડિયોમાં જણાવ્યું કે, “માયાભાઈનું સ્ટેન્ડ હંમેશા શાંતિ જાળવવાનું રહ્યું છે. તેઓ નથી ઈચ્છતા કે બે સમાજો આમને-સામને આવે. આહિર સમાજ 18-એ વર્ણને સાથે લઈને ચાલનારો સમાજ છે. માયાભાઈની ઈચ્છા મુજબ અત્યાર સુધી અમે શાંતિ જાળવીને બેઠા હતા, પરંતુ સમગ્ર ગુજરાતમાંથી આહિર સેનાનું સ્ટેન્ડ શું છે તેવા સવાલો પૂછવામાં આવી રહ્યા છે, તેથી અમે આ સ્પષ્ટતા કરી રહ્યા છીએ.
આહિર સેનાએ વીડિયોના માધ્યમથી મેસેજ આપ્યો છે કે, જ્યારે પણ સમાજ કે સમાજના આગેવાનોને જરૂૂર પડી છે, ત્યારે આહિર સેનાએ શક્તિ પ્રદર્શન અને કાયદાકીય લડત આપી છે. તેમજ જો માયાભાઈ કે સમાજના આગેવાનો ’લીલી ઝંડી’ આપશે, તો આહિર સેના ગુજરાતભરમાં આ લડત માટે સજ્જ છે. અને ભૂતકાળમાં પણ આહિર સેનાએ મુખ્યમંત્રી અને ધારાસભ્યો સાથે બેઠકો કરીને જટિલ પ્રશ્નોના સુખદ ઉકેલો લાવ્યા છે.
આ સાથે જ આહિર સેનાએ સમાજના યુવાનોને ખાસ વિનંતી કરી છે કે કોઈપણ વ્યક્તિએ કાયદો હાથમાં લેવો નહીં અથવા સોશિયલ મીડિયા પર ઉશ્કેરણીજનક નિવેદનો આપવા નહીં. બંને સમાજો વચ્ચે વૈમનસ્ય ન ફેલાય અને શાંતિ જળવાઈ રહે તે પ્રાથમિકતા હોવી જોઈએ તેમ તેમણે ઉમેર્યું હતું.

