વીરપુર પાસેના ચરખડી ગામ નજીક આવેલ પાણીના ટાંકા પાસે એક્ટિવા અને ટ્રેકટર વચ્ચે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં જેતપુર આંગણવાડીમાં ફરજ બજાવતી મહિલાનું મોત નીપજ્યું હતું અને ટ્રેક્ટર ચાલકને ઇજા થવા પામી હતી.રેતી ભરેલ ટ્રેકટર અકસ્માત બાદ પલ્ટી જવા પામ્યું હતું.
પોલિયો રવિવાર હોવાથી આંગણવાડીમાં આશાવર્કર તરીકે ફરજ બજાવતા 50 વર્ષીય સલમાબેન માડકીયા ધોરાજી રોડ પર ચામુંડા નગરમાં આવેલ આંગણવાડીમાં એક્ટિવા લઈ ફરજ પર જઈ રહ્યા હતા ત્યારે સવારે નવ વાગ્યાની આસપાસ રેતી ભરેલ ટ્રેક્ટર અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો ટ્રેકટર પાછળની ટ્રોલીએ એક્ટિવાને હડફેટે લીધું હતું જ્યારે અકસ્માત બાદ રેતી ભરેલ ટ્રેકટર પલ્ટી મારી ગયુ હતું. અકસ્માતના કારણે મહિલાનું ઘટના સ્થળેજ મોત નીપજ્યું જયારે ટ્રેકટર ચાલક મોહનભાઇ ભૂરાભાઈ મારવાડીને ઇજા થવા પામી છે. અકસ્માત બાદ ઇજાગ્રસ્ત અને મૃતક મહિલાને વીરપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
મૃતક સલમાબેનના પરિવારમાં તેઓ પતિ પત્ની જ હતા પત્નીનું મોત થતા ખેત મજૂરી કરતા પતિ ભાંગી પડ્યા હતા પરિવારમાં ભારે શોકની લાગણી પ્રસરી જવા પામી હતી. હાલ આ અકસ્માતની સમગ્ર મામલે ગોંડલ તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.વીરપુરની આસપાસના વિસ્તારોમા ખનીજ તેમજ રેતીના માફિયા બે ફામ બન્યા છે,ખુલેઆમે રેતીના અને ખનીજ ચોરી કરીને બેફામ ટ્રેકટરો તેમજ ડમ્પરો માતેલા સાંઢની જેમ લૂખી દાદાગીરી કરીને બેફામ રીતે રેતી ખનીજ ભેરલ વાહનો ચલાવે છે,વીરપુર પંથકમાં ચાલતા ખનીજ રેતીના ગેરકાયદેસર વાહનોની તપાસ જો પોલીસ તેમજ પ્રાંત અધિકારી કે જેતપુર મામલતદાર દ્વારા કરવામાં આવે તો લાખો કરોડો રૂૂપિયાની ખનીજ રેતીના ગેરકાયદેસર વાહનો તેમજ ખનીજ તેમજ રેતી ચોરી પકડાય તેમ છે પરંતુ આ ખુલ્લેઆમ બેફામ રીતે ચલાવતા ખનિજ રેતીના ટ્રેકટરો કે ડમ્પરો બાબતે મામલતદાર તેમજ વીરપુર પોલીસ પણ જાણી જોઈને આંખ આડા કાન કરી રહી છે કે હપ્તારાજ ચાલે છે !? તેવી ચર્ચાઓ લોક મુખે ઉઠવા પામી છે.