માતૃમેરી ગોલ્ડ બિલ્ડિંગના લાદીકામ કરતા 13મા માળેથી પટકાતા શ્રમિકનું મૃત્યુ થયું હતું
રાજકોટના રેલનગરની માતૃમેરી ગોલ્ડ બિલ્ડીંગના લાદીકામ કરતા 13મા માળેથી પટકાતા શ્રમિકના મૃત્યુના મામલામાં કોન્ટ્રાકટર તેજસ રમેશભાઈ પાણખાણિયા વિરુદ્ધના નોંધાયેલ સાપરાધ મનુષ્ય વધના ગુન્હામાં આગોતરા જામીન માટે કરેલી અરજીને ડીસ્ટ્રીકટ જજ દ્વારા મંજુર કરવામાં આવી છે.
કેસની હકીકત જોઈએતો રાજકોટમાં તા :09/07/2025ના રોજ મજુર ઉપરોક્ત બિલ્ડિંગના તેરમા માળે લાદીકામ કરતો હતો ત્યારે અચાનક નીચે પટકાયો હતો અને તેનું સ્થળ પર જ મૃત્યુ થયું હતું. આ મામલે મૃતકના પિતા રમેશભાઈ મોહનિયાએ પ્રદ્યુમ્ન નગર પોલીસ સ્ટેશનમાં બિલ્ડિંગના કોન્ટ્રાક્ટર તેજસ રમેશભાઈ પાણખાણિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જે ફરિયાદના અનુસંધાને પ્રદ્યુમ્ન નગર પોલીસે બી.એન.એસ. કલમ-105 મુજબનો ગુન્હો દાખલ કરેલ હતો. આ ગુન્હામાં આરોપી કોન્ટ્રાકટર તેજસ રમેશભાઈ પાણખાણિયા પોતે નિર્દોષ હોય, આ કામમાં કોન્ટ્રાક્ટરને પોલીસ ધરપકડ કરે તેવી દહેશત હોય, તેથી આરોપી કોન્ટ્રાકટર તરફે ઉપરોક્ત ગુન્હાના કામે તેમના વકીલ દિવ્યરાજસિંહ આઈ ઝાલા અને મયંક જી જોશી અને ઋત્વિક સિંગલ દ્વારા બી.એન.એસ ની કલમ-482 અન્વયે આગોતરા જામીન અરજી દાખલ કરેલ હોય જેની સુનવણીમાં બચાવ પક્ષના વકીલે કરેલી દલીલમાં આરોપી નિર્દોષ હોય અને આ ગુન્હામાં તેઓને ખોટીરીતે સંડોવી દેવામાં આવ્યાની તેમજ આ બનાવમાં આરોપીની કોઈપણ રીતે બેદરકારી દાખવેલ હોય નહી હોવાની દલીલો તેમજ ઉચ્ચ અદાલતોના આગાઉના ચુકાદાઓ સાથેની ધારદાર દલીલોને ધ્યાને લઈ આરોપી કોન્ટ્રાકટરને આગોતરા જામીન મંજુર કરવામાં આવ્યા હતા. આ કેસમાં આરોપી વતી એડવોકેટ દિવ્યરાજસિંહ આઈ ઝાલા, મયંક જી જોશી અને ઋત્વિક સિંગલ રોકાયેલ હતા.

