કમળાની બીમારી અને પેટમાં ગાંઠના ઓપરેશન બાદ તબિયત લથડી હતી
જસદણમાં ગીતાનગર હરીનગર વિસ્તારમાં રહેતા 57 વર્ષીય જ્યોતિબેન રમેશભાઈ મેરનું ટૂંકી બીમારી બાદ નિધન થયું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, જ્યોતિબેન છેલ્લા કેટલાક સમયથી કમળાની ગંભીર બીમારીથી પીડાતા હતા, જેના કારણે ગત તા. 13 માર્ચના રોજ સાંજે ચાર વાગ્યે તેઓને વધુ સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમની સ્થિતિ વધુ નાજુક બનતા ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે જ્યોતિબેનને અગાઉ પેટમાં ગાંઠની તકલીફ હોવાથી તેનું ઓપરેશન પણ કરાવવામાં આવ્યું હતું, પરંતુ કમળાની અસરને પગલે તેમનું શરીર નબળું પડ્યું હતું. જ્યોતિબેનના પતિ હયાત નથી, ત્યારે આ અકાળે અવસાનથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

