સુત્રાપાડા તાલુકાના નાગથણી વિસ્તારમાં આજે વીજ લાઇન રિપેરિંગ દરમ્યાન કરંટ લાગતા આસિસ્ટન્ટ લાઇનમેન ગોહેલ હસમુખભાઈ અરજણભાઈ (ઉમર 33, રહેવાસી ચિત્રાવડ, તાલુકો તાલાલા) નું ઘટના સ્થળે જ મોત થયુ છે, જ્યારે સાથે રહેલા લાઇનમેન ભાવેશભાઈ મહેશભાઈ ત્રિવેદી ઈજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી મુજબ ખેતીવાડી વડોદરા એજી ફીડરમાં ફોલ્ટ હોવાના કારણે બંને કર્મચારી રિપેરિંગ માટે સુત્રાપાડામા આવેલ નાગથણી વિસ્તારમા ગયા હતા.
ફોલ્ટ વાળી વડોદરા એજી ફીડરની વીજ પુરવઠા લાઈન બંધ કરાવીને કામગીરી શરૂૂ કરવામાં આવી હતી.
તે દરમિયાન ગોહેલ હસમુખભાઈ ભૂલથી બાજુમાંથી પસાર થતી વાણિયાવાવ ફીડરના વીજ પોલ પર ચઢી ગયા, જ્યાં લાઇન જીવંત હતી અને તેમને કરંટ લાગ્યો હતો.જોરદાર કરંટ લાગતા હસમુખભાઈનું ઘટના સ્થળે જ મોત થયુ હતું, જ્યારે નીચે ઉભેલા ભાવેશભાઈ ત્રિવેદીને પણ કરંટ લાગતા ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત ભાવેશભાઈને તાત્કાલિક સુત્રાપાડા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. મૃત્યુ પામેલા હસમુખભાઈના મૃતદેહને પણ પોસ્મોર્ટમ માટે સુત્રાપાડા સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. પોલીસે ઘટનાની આગળની કાર્યવાહી હાથ ધરી છે.

