ગોંડલની ગોંડલી નદીમાં કેમિકલ યુક્ત પ્રદુષિત લાલ પાણી ભળતુ હોય લોકોનાં સ્વાસ્થ્ય ને હાનીકર્તા બની રહ્યુ હોવાથી દશ દિવસ માં આ પ્રદુષિત લાલ પાણી અંગે યોગ્ય પગલા નહી લેવાય તો આપ નાં મહિલા નેતા જીગીશાબેન પટેલે નગરપાલિકા તંત્ર નાં જવાબદારો સામે કાનુની કાર્યવાહી કરવા ચીમકી ઉચ્ચારી છે.
જીગીશાબેન પટેલે નગરપાલિકા નાં ચિફ ઓફિસર ને લેખીત રજુઆત માં જણાવ્યું કે પાંજરાપોળ પુલ થી કંટોલીયા માર્ગ પર ખેતરવાળા મેલડીમાતા નાં મંદિર ની બન્ને બાજુ વહેતી નદીમાં અંદાજે દોઢ થી બે કિલોમીટર પાણીનો રંગ લાલ થવા પામ્યો છે. નદીનાં આ લાલ પાણીનો આસપાસ નાં ગામનાં ખેડૂતો પિયતમાં ઉપયોગ કરતા હોય આ પ્રદુષિત પાણી થી તૈયાર થતો પાક લોકોનાં ઘરમાં જઇ રંધાતો હોય છે.
જે સ્વાસ્થ્ય ને હાની પંહોચાડે છે.વધુમાં આ પાણી ભાદર નદીમાં ભળતુ હોય ભાદર ડેમ પણ પ્રદુષિત થઇ રહ્યો છે.ભાદર નું પાણી રાજકોટ, ગોંડલ સહીત નાં વિસ્તારોમાં વિતરણ થઇ લોકોનાં ઘર માં પહોચેછે.જેને કારણે પાણી નું પ્રદુષણ લોકો માટે લાંબા સમયે કેન્સર સહીત ની ગંભીર કે જીવલેણ બીમારી ઉભી કરે તેવી પરિસ્થિતિ સર્જાઇ છે.
જીગીશાબેન પટેલે વધુમાં જણાવ્યું કે આ પહેલા પણ લાલ પાણી નાં પ્રશ્ર્ને ટેલીફોનીક રજુઆત કરાઇ હતી.પરંતુ જાડી ચામડી ધરાવતા નગરપાલિકા તંત્રને પ્રજા ની સંવેદના ની કોઈ અસર થઇ નથી.જો આ ગંભીર મુદ્દે દશ દિવસ માં યોગ્ય અને નક્કર પગલા નહી લેવાય તો પાલીકા તંત્ર નાં જવાબદાર અધિકારીઓ સામે કાનુની કાર્યવાહી કરાશે તેવું જણાવ્યું હતુ.

