Site icon Gujarat Mirror

અંજારમાં બોગસ ખેડૂત બની કિંમતી જમીન પચાવી પાડનારને 10.56 કરોડનો દંડ

તંત્રએ જમીન શ્રી સરકાર કરવાનો હુકમ કર્યો, અરજદારે રજૂઆત કરતાં મહેસુલ વિભાગે મૂળ સુધી તપાસ કરી

કચ્છમાં કિંમતી ખેતીની જમીનો હડપ કરવા માટે ભૂમાફિયાઓ અને વગદાર લોકો કેવી કેવી તરકીબો અજમાવે છે, તેનો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો અંજારમાંથી સામે આવ્યો છે. બિન-ખેડૂત હોવા છતાં, કાયદાની આંખમાં ધૂળ નાખીને કરોડો રૂૂપિયાની ખેતીની જમીન ખરીદનારા બે શખ્સો સામે અંજાર મામલતદાર કોર્ટે લાલ આંખ કરી છે. જાગૃત નાગરિકની અરજી બાદ તપાસમાં આ કૌભાંડનો પર્દાફાશ થયો છે, જેના પરિણામે તંત્રએ રૂૂ. 10.56 કરોડનો દંડ ફટકારીને જમીન ‘શ્રી સરકાર’ (સરકાર હસ્તક) કરવાનો આકરો હુકમ કર્યો છે.
અશોક મયારામ ઠક્કર અને પંકજ મયારામ ઠક્કર (રહે. ગાંધીધામ) દ્વારા અંજાર સીમના સર્વે નંબર-984 પૈકી 218/પૈકી 1 ની 3.03.52 આરે ખેતીની જમીન ખરીદવામાં આવી હતી. કાયદા મુજબ ખેતીની જમીન માત્ર ખેડૂત જ ખરીદી શકે. આ નિયમમાંથી છટકવા માટે આ બંને ભાઈઓએ પોતે ભચાઉના કરમરીયા ગામના ખાતેદાર હોવાના આધાર રજૂ કર્યા હતા.

પરંતુ, અરજદાર જીલુભાઈ રામભાઈ સોઢીયાની રજૂઆત બાદ જ્યારે મહેસૂલ વિભાગે મૂળ સુધી તપાસ કરી ત્યારે મોટું ભોપાળું છતું થયું. તપાસમાં ખૂલ્યું કે, આ ભાઈઓના પિતા મયારામ ઠક્કરને ડીસા તાલુકાના લટીયા ગામે ખેતીની જમીન કોઈની પાસેથી ‘વિલ’ દ્વારા મળી હતી. રેવન્યુ કાયદાની સ્પષ્ટ જોગવાઈ છે કે, માત્ર વસિયતનામાથી મળેલી જમીનથી કોઈ વ્યક્તિ કાયદેસરનો ‘ખેડૂત ખાતેદાર’ બની શકે નહીં, કારણ કે તે જમીન વડીલોપાર્જિત ગણાય નહીં. આમ, પાયામાંથી જ ખેડૂત ન હોવા છતાં, ખોટી રીતે ખેડૂત તરીકેના હકો ઊભા કરી, સક્ષમ અધિકારીઓને ગેરમાર્ગે દોરીને આ જમીનનો સોદો કરવામાં આવ્યો હતો.

આ ગંભીર ગેરરીતિ અને રેવન્યુ રેકર્ડ સાથે થયેલા ચેડાં સાબિત થતાં, અંજારના મામલતદાર બી. વી. ચાવડાએ ગણોતધરાની કલમ અને મુંબઈ ગણોત વહીવટ કાયદાનો કડક અમલ કર્યો છે. વિવાદિત જમીનની પ્રવર્તમાન જંત્રી કિંમત (રૂૂ. 580 પ્રતિ ચો.મી.) મુજબ જમીનનું મૂલ્ય રૂૂ. 3,52,08,320/- આંકવામાં આવ્યું છે.

કાયદાના ભંગ બદલ આ કિંમતના ત્રણ ગણા એટલે કે કુલ રૂૂ. 10,56,24,960નો જંગી દંડ બંને ભાઈઓને ફટકારવામાં આવ્યો છે. અંજાર સીમની આ કરોડોની જમીન પરથી અશોક ઠક્કર અને પંકજ ઠક્કરનો કબજો તાત્કાલિક અસરથી દૂર કરી, જમીનને બોજા રહિત ‘શ્રી સરકાર’ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. મામલતદારે કચ્છના અન્ય તાલુકાઓમાં પણ પત્ર લખીને આ શખ્સો દ્વારા ખરીદાયેલી અન્ય ખેતીની જમીનોની તપાસ કરી કાર્યવાહી કરવા સૂચના આપી છે.

Exit mobile version