Site icon Gujarat Mirror

માંગરોળમાંથી બે બોલેરોમાંથી 8790 કિલો શંકાસ્પદ અનાજ ઝડપાયું

જૂનાગઢ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી સરકારી અનાજની ગેરકાયદેસર હેરાફેરીના કિસ્સાઓ સમયાંતરે સામે આવતા રહે છે. ગરીબો માટે ફાળવવામાં આવતા અનાજને કાળાબજારમાં વેચવાનું આખું રેકેટ સક્રિય હોવાની આશંકા વચ્ચે આજરોજ માંગરોળ પોલીસ સ્ટેશનની ટીમે એક મોટી સફળતા મેળવી છે.
માંગરોળ પોલીસ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે બે બોલેરો પિકઅપ વાહનોને આંતરીને તેમાંથી હજારો કિલો શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ જથ્થો માંગરોળથી કેશોદ તરફ લઈ જવામાં આવી રહ્યો હતો, ત્યારે જ પોલીસે તેને દબોચી લીધો હતો.

માંગરોળ પોલીસ સ્ટેશનના પીઆઇ જે. જે. પટેલ અને તેમની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે હાઈવે પર વોચ ગોઠવવામાં આવી હતી. તપાસ દરમિયાન બે બોલેરો પિકઅપ ગાડીઓ શંકાસ્પદ જણાતા તેને ઉભી રાખવામાં આવી હતી. આ વાહનોની તલાશી લેતા તેમાંથી મોટા પ્રમાણમાં અનાજ ભરેલા કોથળા મળી આવ્યા હતા. પ્રાથમિક દ્રષ્ટિએ આ જથ્થો સરકારી અનાજ (રેશનિંગ) હોવાની પ્રબળ શંકા સેવાઈ રહી છે. પોલીસે આ તમામ મુદ્દામાલ અને વાહનો કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઝડપાયેલા મુદ્દામાલની વિગતો જોઈએ તો કુલ 8,790 કિલો અનાજનો જથ્થો મળી આવ્યો છે. જેમાં ચોખાના કુલ 6,935 કિલોગ્રામના જથ્થાની કિંમત ₹1,52,570 (પ્રતિ કિલો ₹22 લેખે) આંકવામાં આવી છે. જ્યારે 1,855 કિલોગ્રામ ઘઉંના જથ્થાની કિંમત ₹37,100 (પ્રતિ કિલો ₹20 લેખે) ગણવામાં આવી છે. આ ઉપરાંત અનાજની હેરાફેરીમાં વપરાયેલા બંને બોલેરો પિકઅપ વાહનોની કિંમત ₹6,00,000 ગણીને કુલ ₹7,89,670 નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે.

હાલમાં માંગરોળ પોલીસ દ્વારા આ અનાજ ક્યાંથી આવ્યું હતું અને ક્યાં સપ્લાય કરવામાં આવી રહ્યું હતું તે દિશામાં ઉંડી તપાસ શરૂૂ કરવામાં આવી છે. સરકારી અનાજના કાળાબજારમાં સંડોવાયેલા મોટા માથાઓ સુધી પહોંચવા માટે પોલીસે પકડાયેલા વાહન ચાલકોની પૂછપરછ હાથ ધરી છે. અનાજનો જથ્થો સરકારી હોવાની પુષ્ટિ કરવા માટે પુરવઠા વિભાગને પણ જાણ કરવામાં આવી છે. જૂનાગઢ જિલ્લામાં વારંવાર બનતી આવી ઘટનાઓને પગલે પોલીસ તંત્ર દ્વારા હવે ચેકિંગ વધુ સઘન બનાવવામાં આવ્યું છે.

Exit mobile version