મુંબઈમાં ગઇકાલે મોડી રાત્રે બે મોટી દુર્ઘટનાઓથી હાહાકાર મચી ગયો. વિલે પાર્લેની બહુમાળી ઇમારતમાં ભીષણ આગથી 2.5 વર્ષના બાળક અને 23 વર્ષીય યુવતીનું કરુણ મોત થયું. ફ્લેટના 11મા માળે લાગેલી આગમાં 6 અન્ય લોકો ઘાયલ થયા. બીજી તરફ, કુર્લામાં ભૂસ્ખલન થતાં કેટલાક ઝૂંપડા દટાયા, જેમાં 6 લોકોના મોત થયા છે.
વિલે પાર્લે વિસ્તારમાં આવેલી એક બહુમાળી રહેણાંક ઈમારતના 11મા માળે ભીષણ આગ લાગવાથી અઢી વર્ષના માસૂમ બાળક અને 23 વર્ષીય યુવતીનું કરૂૂણ મોત નીપજ્યું છે. તો બીજી તરફ કુર્લા વિસ્તારમાં વહેલી સવારે લેન્ડસ્લાઇડ (ભૂસ્ખલન) થતાં કેટલાક ઝૂંપડા કાટમાળ નીચે દબાઈ ગયા છે, જેમાં લોકો ફસાયા હોવાની આશંકા વચ્ચે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. અહેવાલ મુજબ આ બનાવમાં પણ 6ના મોત થાય અનેક લોકો હજુ ફસાયા હોવાની આશંકા છે.
વિલે પાર્લે સ્થિત ઈમારતના ફ્લેટ નંબર 1101 અને 1102 માં મોડી રાત્રે અચાનક ભયાનક આગ ઊઠી હતી. આશરે 4000 ચોરસ ફૂટના વિસ્તારમાં ફેલાયેલા આ ફ્લેટમાં ઇલેક્ટ્રિક વાયરિંગ, એસી યુનિટ, ફોલ્સ સિલિંગ અને ફર્નિચર આગની લપેટમાં આવી ગયા હતા. જોતજોતામાં આખો ફ્લેટ ઝેરી ધુમાડાથી ભરાઈ ગયો હતો.
ફાયર બ્રિગેડે ભારે જહમત બાદ રાત્રે આશરે 1 વાગ્યે આગ પર કાબૂ મેળવ્યો હતો. આ હોનારતમાં અઢી વર્ષના બાળક અબીર અને 23 વર્ષની અંકિતાને હોસ્પિટલમાં મૃત જાહેર કરવામાં આવ્યા હતા, જ્યારે અન્ય 6 લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
બીજી ઘટના કુર્લાના ચિરાગ નગર સ્થિત ગૌસિયા ચૌલમાં વહેલી સવારે આશરે 3:48 વાગ્યે બની હતી, જ્યાં ભારે ભૂસ્ખલન થતાં 3 થી 4 ઝૂંપડા જમીનદોસ્ત થઈ ગયા હતા. મલબા હેઠળ 3 થી 4 લોકો ફસાયા હોવાની આશંકાને પગલે યુદ્ધના ધોરણે સર્ચ અને રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

