ઝારખંડના ચતરા જિલ્લાના સિમરિયા વિસ્તારમાં રાંચીથી દિલ્હી જઈ રહેલી એક એર ઍમ્બ્યુલન્સ ક્રેશ થઈ હતી. આ વિમાનમાં સવાર તમામ 7 લોકોના મોત થયા છે. ખરાબ હવામાનને કારણે આ અકસ્માત થયો હોવાનું માનવામાં આવે છે. ચતરા ડેપ્યુટી કમિશનરે જણાવ્યું હતું કે વિમાનમાં સવાર તમામ લોકોના મોત થયા છે.
રેડબર્ડ એરવેઝ પ્રાઈવેટ લિમિટેડના આ વિમાને રાંચી એરપોર્ટથી સાંજે 7.11 વાગ્યે ઉડાન ભરી હતી. જે બાદ પ્લેન ચતરામાં ક્રેશ થઈ ગયું.ચતરાના ડેપ્યુટી કમિશનરે જણાવ્યું કે 7.30 વાગ્યે વિમાન સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. જે બાદ સિમરિયા વિસ્તારના બરિયાતુમાં તે ક્રેશ થયું. વિમાનમાં સવાર તમામ 7 લોકોના મૃતદેહની ઓળખ થઈ ગઈ છે.
પ્રારંભિક માહિતી સૂચવે છે કે ખરાબ હવામાન અકસ્માતનું કારણ હતું. આનું કારણ ભારે વરસાદ હોઈ શકે છે. જોકે, અધિકારીઓ કહે છે કે અન્ય પરિબળોની વધુ તપાસ કરવામાં આવશે. હાલમાં એવું માનવામાં આવે છે કે હવામાન અકસ્માતનું કારણ હતું.
એર એમ્બ્યુલન્સમાં કેપ્ટન વિવેક વિકાસ ભગત (પાયલોટ) અને કેપ્ટન સબરાજદીપ સિંહ (સહ-પાયલોટ) સવાર હતા. એર એમ્બ્યુલન્સમાં દર્દી સંજય કુમાર પણ સવાર હતા. અર્ચના દેવી (પરિવારના સભ્ય), ધુરુ કુમાર (પરિવારના સભ્ય), વિકાસ કુમાર ગુપ્તા (ડૉક્ટર) અને સચિન કુમાર મિશ્રા (પેરામેડિકલ સ્ટાફ) પણ સવાર હતા.
અકસ્માતની જાણ થતાં જ, જિલ્લા વહીવટીતંત્રની શોધ અને બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ, અને બચાવ કામગીરી ચાલુ છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય તરફથી એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB)ની એક ટીમ પણ તપાસ માટે રવાના કરવામાં આવી છે. અકસ્માતનું ચોક્કસ કારણ હાલમાં અજ્ઞાત છે. વહીવટીતંત્રે જણાવ્યું છે કે તપાસ પૂર્ણ થયા પછી જ વિગતવાર માહિતી શેર કરવામાં આવશે.

