Site icon Gujarat Mirror

કાલાવડના વોડીસાંગ ગામમાં હૃદયરોગના હુમલાથી 50 વર્ષીય ખેડૂતનું મૃત્યુ

ઘરે હતા ત્યારે પડીને બેભાન થઇ ગયા, હોસ્પિટલે નિષ્પ્રાણ દેહ પહોંચ્યો

કાલાવડ તાલુકાના વોડીસાંગ ગામમાં એક ખેડૂતનું હાર્ટ એટેકના કારણે મોત નીપજ્યાનો બનાવ સામે આવ્યો છે. હરેશભાઈ દામજીભાઈ ભંડેરી (ઉ.વ.50) પોતાના ઘરે પડી જતાં બેભાન થઈ ગયા હતા. પરિવારજનો દ્વારા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જો કે સારવાર દરમિયાન તેમને હાર્ટ એટેક આવતા તેમનું મોત નીપજ્યું હોવાનું તબીબો દ્વારા જાહેર કરાયું હતું.

આ બનાવ અંગે મૃતકના ભાઈ રમેશભાઈ દામજીભાઈ ભંડેરીએ પોલીસને જાણ કરતાં કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ વી.એન. જાડેજાએ મૃતદેહ નો કબજો સંભાળી આ બનાવ અંગે અકસ્માત મોત નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

કાલાવડ નજીક પીપરડી ચોકડી પાસે અકસ્માત સર્જી પીકઅપ ચાલક ફરાર
કાલાવડ તાલુકાના આણંદપર ગામ નજીક પીપરડી ચોકડી પાસે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં એક કારને નુકસાન પહોંચાડી પીકઅપ વાહનનો ચાલક ફરાર થઈ જતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
ફરિયાદી જયેશભાઈ લવજીભાઈ જેશડીયાએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ પોતાની ફોરવ્હીલ ગાડી લઈને મજૂરો લેવા માટે પીપરડી ચોકડી પાસે ગયા હતા. તે દરમિયાન સામેથી આવતી ટાટા ઇન્ટ્રા વી-20 પીકઅપ ગાડીના ચાલકે બેદરકારી અને ગફલતભરી રીતે વાહન ચલાવી તેમની કાર સાથે અકસ્માત સર્જ્યો હતો.
અકસ્માતમાં કારને અંદાજે રૂૂ.60 હજારનું નુકસાન થયું હતું. બનાવ બાદ પીકઅપ ચાલક વાહન સાથે ફરાર થઈ ગયો હતો.

Exit mobile version