Site icon Gujarat Mirror

ગત વર્ષે 295 મિલિયન લોકોને ભૂખમરાનો સામનો કરવો પડ્યો

20 દેશોમાં ભૂખમરા માટે સંઘર્ષ અને હિંસા, 18 દેશોમાં ખરાબ હવામાન જવાબદાર

વિશ્વભરમાં વિવિધ સ્થળોએ ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ભૂખમરો ચરમસીમાએ પહોંચી રહ્યો છે. યુએન સમર્થિત રિપોર્ટ મુજબ ગયા વર્ષે 295 મિલિયનથી વધુ લોકોએ ગંભીર ભૂખમરાનો સામનો કરવો પડ્યો હતો. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આગામી વર્ષોમાં આ પરિસ્થિતિ વધુ દયનીય બની શકે છે. રિપોર્ટ મુજબ ઘણા દેશોમાં આ આંકડો સતત છઠ્ઠા વર્ષે વધી રહ્યો છે.ગ્લોબલ રિપોર્ટ ઓન ફૂડ ક્રાઈસિસ અનુસાર, 2024માં કુલ 295.3 મિલિયન લોકોએ તીવ્ર ભૂખમરાનો સામનો કરવો પડ્યો હતો.

આ રિપોર્ટ આંતરરાષ્ટ્રીય સંગઠનો અને NGOના એક ક્ધસોર્ટિયમ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. વિશ્ર્લેષણ કરાયેલા 65 દેશોમાંથી 53 દેશોની વસ્તીના લગભગ એક ચતુર્થાંશ લોકો આ કટોકટીમાંથી પસાર થઈ રહ્યા છે.
રિપોર્ટ મુજબ, 2023 માં આ આંકડો 281.6 મિલિયનથી વધુ લોકો હતો. લગભગ 2 મિલિયન લોકો દુષ્કાળના જોખમમાં પણ છે. આમાં ગાઝાની મોટી વસ્તીનો પણ સમાવેશ થાય છે. રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે 20 દેશો અને વિસ્તારોમાં ભૂખમરા માટે સંઘર્ષ અને હિંસા મુખ્ય કારણો હતા. ત્યાં જ 18 દેશોમાં ખરાબ હવામાન અને 15 દેશોમાં આર્થિક આંચકા દુષ્કાળ જેવી પરિસ્થિતિઓ માટે જવાબદાર છે.

રિપોર્ટમાં ચેતવણી પણ આપવામાં આવી છે કે 2025 માટેનું ભવિષ્ય વધુ અંધકારમય છે કારણ કે ઘણી સંસ્થાઓ અને દેશોએ મદદ કરવાનું બંધ કરી દીધું છે. રિપોર્ટમાં યુએન સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસે કહ્યું છે કે આ માનવતાની નિષ્ફળતા છે, સિસ્ટમની નિષ્ફળતા કરતાં વધુ. તેમણે કહ્યું, 21મી સદીમાં ભૂખ સહન કરી શકાતી નથી. આપણે ખાલી હાથે અને પીઠ ફેરવીને ખાલી પેટનો જવાબ આપી શકતા નથી.

Exit mobile version