Site icon Gujarat Mirror

2021થી 2025: મોદીના જન્મદિવસની ઉજવણીની પેટર્ન

સામાન્ય રીતે જન્મદિવસ એટલે કેક, મેળાવડા અને શુભેચ્છાઓની આપ-લે. જોકે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે 17 સપ્ટેમ્બરનો દિવસ વર્ષોથી કંઈક અલગ રીતે ઉજવાતો આવ્યો છે. કુનો નેશનલ પાર્કમાં ચિત્તાઓને મુક્ત કરવા અને વિક્રમી રસીકરણ અભિયાનથી લઈને કલ્યાણકારી પહેલો અને જનસેવા અભિયાનો સુધી, તેમના જન્મદિવસો વારંવાર સરકારી અને પક્ષના કાર્યક્રમો સાથે જોડાયેલા રહ્યા છે.

17 સપ્ટેમ્બર 2026ના રોજ મોદી 76 વર્ષના થઈ રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી ફરી એકવાર એક મહિના લાંબા ભવ્ય કાર્યક્રમની તૈયારી કરી રહી છે. આ વર્ષની ઉજવણી મોદીના મુખ્યમંત્રી અને વડાપ્રધાન તરીકેના 25 વર્ષના કાર્યકાળને પણ ચિહ્નિત કરશે. 2025માં, જ્યારે મોદી 75 વર્ષના થયા, ત્યારે તેમના જન્મદિવસની ઉજવણી માતા અને બાળ સ્વાસ્થ્ય સંભાળ પર ધ્યાન કેન્દ્રિત કરીને કરવામાં આવી હતી.

તેમણે મધ્યપ્રદેશના ધારની મુલાકાત લીધી અને સ્થાનિક લોકો સાથે સંવાદ સાધ્યો, તેમજ માતા અને બાળ સ્વાસ્થ્ય સંભાળમાં સુધારો કરવાના ઉદ્દેશ્ય સાથે ’સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન’નો પ્રારંભ કર્યો. 2024માં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનો 74મો જન્મદિવસ ઓડિશામાં ઉજવ્યો, જ્યાં તેમણે રાજ્ય સરકારની મહત્વકાંક્ષી ’સુભદ્રા યોજના’નો પ્રારંભ કર્યો, જેનાથી એક કરોડથી વધુ મહિલાઓને લાભ મળવાની અપેક્ષા છે. વર્ષ 2023માં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ’વિશ્વકર્મા જયંતિ’ના અવસરે પરંપરાગત કારીગરો અને હસ્તકલાકારો માટે ’પીએમ વિશ્વકર્મા યોજના’ શરૂૂ કરીને તેમનો 73મો જન્મદિવસ ઉજવ્યો હતો.આ યોજનામાં સુથાર, લુહાર, સોની, શિલ્પકાર, કુંભાર, મોચી, દરજી, કડિયા, વાળંદ અને ધોબી સહિત કારીગરો અને હસ્તકલાકારોની 18 શ્રેણીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સરકારે આ યોજના માટે ₹13,000 કરોડની ફાળવણી કરી હતી. તેમનો 72મો જન્મદિવસ ઉજવ્યો હતો, જ્યાં તેમણે નામિબિયાથી લાવવામાં આવેલા આઠ ચિત્તાઓને મુક્ત કર્યા હતા.

કદાચ જન્મદિવસ સાથે સંકળાયેલી સૌથી નોંધપાત્ર ઘટનાઓમાંની એક 2021માં બની હતી, જ્યારે 17 સપ્ટેમ્બરના રોજ સમગ્ર ભારતમાં કોવિડ-19 રસીના 2.5 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા હતા. તે દિવસે કુલ 2,50,10,390 ડોઝ આપવામાં આવ્યા હતા, જે ભારતમાં રસીકરણ અભિયાન શરૂૂ થયા ત્યારથી એક દિવસમાં આપવામાં આવેલા ડોઝની સૌથી વધુ સંખ્યા હતી.

છેલ્લા પાંચ વર્ષોમાં, મોદીના જન્મદિવસો સરકારી પહેલ, કલ્યાણકારી કાર્યક્રમો, જનસેવા અભિયાનો અને અન્ય મુખ્ય કાર્યક્રમો સાથે સુસંગત રહ્યા છે; જેમાં દેશવ્યાપી રસીકરણ અભિયાન, ચિત્તાઓને મુક્ત કરવા અને ’પીએમ વિશ્વકર્મા’ તથા ’સુભદ્રા’ જેવી યોજનાઓનો શુભારંભ સામેલ છે.

Exit mobile version