108ને 35 ઇમર્જન્સીના કોલ મળ્યા, 15 લોકોને સ્થળ ઉપર જ સારવાર અપાઇ
અમદાવાદ ખાતે ગઇકાલે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે થઇને ઠેર-ઠેર લાઇનમાં ઉભા હતા. આ દરમિયાન અલગ-અલગ વિસ્તારમાં અનેક લોકો બેભાન થઇ ગયા હોવાની માહિતી મળી છે. જેમાં 15 લોકોને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી, જ્યારે 20 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા તો ખાડિયા પાસે ગજરાજોમાં નાસભાગના કારણે પાંચ લોકોને ઇજા થઇ હતી.
108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ ટીમનું કહેવું છે કે, અમદાવાદ રથયાત્રાના સમગ્ર રૂૂટ દરમિયાન કુલ 15 એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી હતી. મેડિકલ ઈમરજન્સીના કુલ 35 કોલ મળ્યા હતા, જે માંથી 20 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બેભાન કે બેશુદ્ધ થવાના 15 કેસ સામે આવ્યા હતા, જ્યારે ભીડમાં પડી જવાના 6 કેસ, ઉલટીને લગતી ફરિયાદમાં એક, માથામાં અસહ્ય દુખાવાની ફરિયાદમાં એક કોલ અને પેટમાં દુ:ખાવને લગતી તકલીફમાં પણ એક-એક કોલ્સ ઈમરજન્સી સર્વિસને મળ્યા હતા.
આ ઉપરાંત અન્ય 11 અલગ અલગ પ્રકારના કોલ મળ્યા હતા. આ પૈકી 15 લોકોને સ્થળ ઉપર જ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. મેડિકલ ઈમરજન્સીના સૌથી વધુ કોલ બેભાન થવાને લગતા આવ્યા હતા. રથયાત્રાના સમગ્ર રૂૂટ પર પાણીની અસરકારક વ્યવસ્થા હોવા છતાં કેટલાંક શ્રાધ્ધાળુ પાણી ન મળવાથી અસ્વસ્થ બન્યા હોવાની ઘટના બની હતી.

