Connect with us

Rajkot

રાજ્યસભાની 4 બેઠકની માર્ચમાં ચૂંટણી?

Published

on

ભાજપ-કોંગ્રેસને બે-બે બેઠકો મળવાની શકયતા
ટ્રમ્પની મુલાકાત બાદ પ્રદેશ પ્રમુખ અને રાજ્યસભાના ઉમેદવારોની પસંદગી કરાશે
રાજકોટ તા.14
અમેરિકાના રાષ્ટ્રપતિ ની ગુજરાત મુલાકાત બાદ પ્રદેશ ભાજપ પ્રમુખ અને રાજ્યસભાની 4 બેઠકોની ખાલી થનાર બેઠકો માટે ઉમેદવારોની પસદગી કરવામાં આવનાર છે આ માટે અત્યારથી જ રાજકીય નેતાઓએ લોબિંગ શરૂ કરી દીધું છે જેમાં કેટલાક નવા ચેહરાની પણ પસંદગી કરવામાં આવી તેવી અટકળ વહેતી થઈ છે.
ગુજરાતની રાજ્યસભાની બેઠકોનો ઇતિહાસ આશ્ચર્યથી ભરેલો છે. એટલું જ નહીં દેશની મહત્વની પોસ્ટ પર ગુજરાતના નેતા ચમક્યા છે કે જેઓ રાજ્યસભામાંથી દિલ્હી ગયા છે. રાજ્યના પૂર્વ છ મુખ્યમંત્રીએ દિલ્હીમાં રાજ્યસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું છે. સચિવાલયમાં ચર્ચા છે કે હાલના મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજ્યસભામાં જવાના છે પરંતુ મુખ્યમંત્રીના સૂત્રો તેનો ઇન્કાર કરી રહ્યાં છે. મુખ્યમંત્રીની નજીકના એક નેતાએ કહ્યું હતું કે મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમના શાસનના પાંચ વર્ષ પૂરાં કરશે અને 2022ની વિધાનસભાની ચૂંટણી પણ તેમના નેતૃત્વ હેઠળ લડાવવામાં આવશે. રાજ્યમાં એપ્રિલ 2020માં રાજ્યસભાની ચાર બેઠકો ખાલી પડી રહી છે જે પૈકી ત્રણ બેઠકો ભાજપ પાસે છે અને કોંગ્રેસ પાસે એક બેઠક છે. સંખ્યાબળ જોતાં કોંગ્રેસને આ વખતે બે બેઠકો મળી શકે છે. ગુજરાતમાં રાજ્યસભાની ખાલી પડનારી ચાર બેઠકોની ચૂંટણી માર્ચ મહિનામાં થાય તેવી સંભાવના છે.
ગુજરાતમાં રાજ્યસભાની કુલ 11 બેઠકો છે. અત્યાર સુધીમાં ગુજરાતે તેના પૂર્વ છ મુખ્યમંત્રીને ચૂંટીને રાજ્યસભામાં મોકલ્યા છે. પહેલી વખત ગુજરાતે પૂર્વ મુખ્યમંત્રી ઘનશ્યામ ઓઝા ને 1378 થી 1684 સુધી રાજ્યસભામાં મોકલ્યા હતા. તેઓ પ્રખર ગાંધીવાદી હતા. ગરીબોના ઉત્થાન માટે તેઓ કામ કરતા હતા.
ગુજરાતના વર્તમાન મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ અગાઉ રાજ્યસભાના સભ્ય રહી ચૂક્યાં છે. તેઓ 2006 થી 2012 સુધી રાજ્યસભાના સાંસદ રહ્યાં હતા. આ ઉપરાંત ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રવણ મુકરજી પણ ગુજરાતમાંથી રાજ્યસભાનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યાં છે. તેઓ 1981 થી 1987 સુધી રાજ્યસભાના સાંસદ રહ્યાં હતા.
સ્મૃતિ ઇરાની પણ ગુજરાતમાંથી રાજ્યસભાનું પ્રતિનિધિત્વ કરતા રહ્યાં છે પરંતુ આ વખતે લોકસભાની ચૂંટણીમાં તેઓ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીને હરાવીને અમેઠી બેઠક પરથી ચૂંટણી જીતી ગયા હોવાથી તેમણે અને અમિત શાહે રાજીનામું આપી દીધું હતું. હાલ આ બન્ને નેતાઓ કેન્દ્રની મોદી સરકારમાં મંત્રીપદ ભોગવી રહ્યાં છે.

Continue Reading
Advertisement

Rajkot

શહેરના સાત સ્થળે થશે ગણેશ મૂર્તિ વિસર્જન

Published

on

શહેરમાં ઘરે ઘરે અને ચોકે ચોકે ગણપતિ દાદાનું સ્થાપન કરવામા આવ્યું છે. ગણેશ ઉત્સવ આગામી ગુરૂવારના રોજ પૂર્ણ થનાર હોય શહેરભરમાંથી 10 હજારથી વધુ ગણેશ મુર્તિનું વિસર્જન કરવા માટે લોકો સવારથી નિકળી પડશે. જેના માટે મહાનગરપાલિકાએ અલગ અલગ સાત સ્થળે વિસર્જન માટેની વ્યવસ્થા ઉભી કરવામા આવી છે. ફાયર વિભાગ દ્વારા સાત સ્થળ ઉપર પાંચ ક્રેઈન લાઈફબોયા અને બોટ સાથે લિડિંગ ફાયરમેેન તથા ફાયર સ્ટેશન ઓફિસર અને તરવૈયાઓ સહિતનો 80 વ્યક્તિનો સ્ટાફ ખડેપગે રખાશે તેમજ મોટી મુર્તિઓ માટે વ્યક્તિગત વિસર્જન કરવા દેવામાં નહીં આવે વિસર્જન સ્થળ ઉપર બેરીકેટ લગાવી ફાયર વિભાગના સ્ટાફ દ્વારા મુર્તિનું વિસર્જન કરવામા આવશે.
મહાનગરપાલિકાના ફાયર ઓફિસર ખેરના જણાવ્યા મુજબ રાજકોટ શહેરમાં તમામ સર્કલો તેમજ ઘરોમાં ગણેશજીનું સ્થાપન કરવામા આવ્યું છે. ગણેશોત્સવ શરૂ થયા બાદ અમુક લોકો ત્રણ દિવસે તેમજ પાંચ દિવસે નાની મુર્તિઓનું વિસર્જન કરતા હોય છે. જેના માટે હંગામી ધોરણે સ્ટાફ વિસર્જન સ્થળે રાખવામાં આવ્યો છે. પરંતુ ગુરૂવારના રોજ ગણેશ ઉત્સવ પૂર્ણ થનાર હોય તે દિવસે સવારથી શહેરના દરેક વિસ્તારોમાંથી મુર્તિ વિસર્જન માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડશે. જેની વ્યવસ્થા માટે મહાનગરપલિકાએ સાત સ્થળે મુર્તિ પધરાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. આજીડેમ, ન્યારી ડેમ અને જખરાપીર સહિતના ત્રણ સ્થળે પાંચ ક્રેઈન મુકવામાં આવી છે. જ્યાં મોટી મુર્તિનું વિસર્જન ક્રેઈન મારફતે કરવામા આવશે. તેવી જ રીતે દરેક સ્થળે બોટ અને લાઈફબોયા અને તરવૈયાઓ તૈયનાત કરવામા આવ્યા છે. છતા મોટી મુર્તિનું વિસર્જન લોકોને તેમના હાથે કરવામા દેવામાં આવશે નહીં વિસર્જન સ્થળ ઉપર જે સ્થળે મુર્તિ પધરાવવાની થાય છે.ત્યાં બેરીકેટ લગાવી દેવામા આવ્યા છે. ત્યાં પહોંચ્યા બાદ ફાયર વિભાગના સ્ટાફ દ્વારા મુર્તિનુ વિસર્જન કરવામા આવશે. ઉપરોક્ત ત્રણ સ્થળો સિવાય અન્ય સ્થળે કામ ચલાઉ ધોરણે નાની મુર્તિના વિસર્જન માટે કુંડ તૈયાર કરવામા આવ્યા છે. ગુરૂવારે સવારે સાત વાગ્યાથી લોકો આવે ત્યાં સુધી મુર્તિ વિસર્જન થઈ શકશે. આથી લોકોએ ઉપરોક્ત સ્થળો જે પૈકી નજીક થતા હોય તે સ્થળે મુર્તિ પધરાવવા આવવું તેવો અનુરોધ કરવામા આવ્યો છે.

Continue Reading

Rajkot

શાસ્ત્રી મેદાન, ચૌધરી ગ્રાઉન્ડ,ધર્મેન્દ્ર કોલેજના ગ્રાઉન્ડના ભાડામાં 10 ટકાનો વધારો કરાયો

Published

on

નવરાત્રિ નજીક આવતા જ આયોજકો ગ્રાઉન્ડ લેવા માટે પડાપડી કરી રહ્યા છે ત્યારે રાજકોટ શહેરમાં આવેલા ત્રણ સરકારી ગ્રાઉન્ડમાં દર વર્ષની માફક આ વર્ષે પણ 10 ટકા ભાડા વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. શાસ્ત્રીમેદાન, ચૌધરી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ અને ધર્મેન્દ્ર કોલેજ ગ્રાઉન્ડમાં દર વર્ષની માફક આ વર્ષે પણ 10 ટકા ભાડા વધારો કરવામાં આવ્યો છે.
નવરાત્રિને હવે 15 દિવસની જ વાર છે ત્યારે રાજકોટ શહેરમાં અર્વાચિન દાંડિયારાસનું આયોજન કરતાં આયોજકોમાં ગ્રાઉન્ડ ભાડે લેવા માટે પડાપડી થઈ રહી છે. રાજ્ય સરકારે પરિપત્ર બહાર પાડી કલેકટર હસ્તકના શાસ્ત્રીમેદાન અને ચૌધરી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ તેમજ શિક્ષણ વિભાગ હસ્તકના ધર્મેન્દ્ર કોલેજ ગ્રાઉન્ડમાં 10 ટકાનો ભાડા વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. આ ભાડા વધારો 1 એપ્રિલથી જ અમલી બનાવી દેવામાં આવ્યો છે.
રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે સરકારી ગ્રાઉન્ડમાં 10 ટકા ભાડા વધારો કરતો પરિપત્ર બહાર પાડ્યો છે. શાસ્ત્રીમેદાનમાં ગયા વર્ષે 2000 મીટરથી વધુ ગ્રાઉન્ડના ફિક્સ ભાડુ રૂા.14,268 નકકી કરાયું હતું જેમાં 10 ટકા ભાડા વધારા સાથે આ વર્ષે 2000 મીટરથી વધુ મોટુ ગ્રાઉન્ડ ભાડે મેળવવા માગતા આયોજકો પાસેથી રૂા.15,695 ભાડુ વસુલવામાં આવશે.
જોકે, શાસ્ત્રીમેદાનમાં 2000થી ગમે તેટલુ મોટુ મેદાન ભાડે રાખો તો તેનું ફિક્સ ભાડુ રૂા.15,695 નકકી કરાયું છે જ્યારે 1થી 2 હજાર મિટરની વચ્ચે મેદાન ભાડે રાખવું હોય તો રૂા.7,849 અને 1 હજાર મીટરથી નીચે મેદાન ભાડે જોતુ હોય તો રૂા.3,138 નક્કી કરાયા છે.
આ જ રીતે ચૌધરી હાઈસ્કૂલનું ગ્રાઉન્ડનું ભાડુ પણ નકકી કરાયું છે જ્યારે ધર્મેન્દ્ર કોલેજમાં આવેલ ગ્રાઉન્ડનું ભાડુ રાજ્ય સરકાર નકકી કરે છે પરંતુ, આ ભાડુ શિક્ષણ વિભાગના ફાળે જાય છે.

Continue Reading

Rajkot

સર્વેશ્ર્વર ચોકમાં વોંકળા દુર્ઘટનામાં ઘવાયેલ લોહાણા વૃદ્ધાનું મૃત્યુ

Published

on

રાજકોટમાં ભુમાફીયાઓ દ્વારા પાણીના નિકાલના વોંકળા ઉપર દબાણ કરી રાતોરાત બહુમાળી ઈમારતો ખડકી દીધી છે ત્યારે ગેરકાયદેસર બાંધકામ સામે તંત્રના આંખ મીચામણાથી લોકોને પારાવાર હાલાકી ભોગવવી પડે છે ત્યારે ગઈકાલે સર્વેશ્ર્વર ચોકમાં વોંકળા ઉપરનો ગેરકાયદેસરનું બાંધકામ એકાએક તુટી પડતાં નાસ્તો કરી રહેલા વૃધ્ધા ઉંધા માથે વોંકળામાં પટકાયા હતાં. જેમનું સારવાર દરમિયાન રાત્રિનાં મૃત્યુ નિપજ્યું હતું.
આ દુર્ઘટના અંગેની જાણવા મળતી વિગત મુજબ, રાજકોટના યાજ્ઞીક રોડ પર આવેલ સર્વેશ્ર્વર ચોકમાં ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ હોય રવિવારે રાત્રે મોટી સંખ્યામાં લોકો ગણપતિના દર્શનાર્થે ઉમટી પડયા હતાં. ગણપતિ મહોત્સવ પાસે જ શિવમ-1 અને 2 કોમ્પલેક્ષ વોંકળામાં ખડકી દેવામાં આવેલ હોય રાત્રિના સંતોષ ભેળ પાસે નાસ્તો કરી રહેલા 30 થી 35 શખ્સો ઓચિંતા સ્લેબ તુટી પડતાં વોંકળામાં ખાબકયા હતાં. જેઓને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
આ દુર્ઘટનામાં રૈયા રોડ અંબીકા પાર્કમાં રહેતાં ભાવનાબેન અશ્ર્વિનભાઈ ઠક્કર (ઉ.63)ને માથામાં ગંભીર ઈજા સાથે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં ગઈકાલે રાત્રે તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું.
પોલીસની પ્રાથમિક તપાસમાં ભાવનાબેન પોતાના તબિબ પુત્ર જતિનભાઈ ઠક્કર અને પરિવાર સાથે રવિવારની રજા હોય સર્વેશ્ર્વર ચોકમાં ગણપતિના દર્શન કરવા ગયા હતા અને ત્યાંથી બાજુમાં જ આવેલ સંતોષ ભેળ પર પરિવારજનો નાસ્તો કરી રહ્યા હતા ત્યારે ઓચિંતા વોંકળા પરનો સ્લેબ ધરાશાયી થયો હતો. જેમાં વૃધ્ધા ઉંધા માથે પટકાયા હતાં અને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી.
વધુમાં જાણવા મળેલ પ્રમાણે મૃતક વૃધ્ધાના પુત્ર ડો.જતીન ઠક્કર સ્ટર્લિંગ હોસ્પિટલમાં ફરજ બજાવતાં હોવાનું અને પરિવાર સાથે સર્વેશ્વર ચોકમાં ગયા હતા ત્યારે તેમની નજર સામે જ માતા વોંકળાનો સ્લેબ તુટી પડતાં ઉંધા માથે પટકાયા હતાં.
રાજકોટમાં પાણીના નિકાલ માટેના વોંકળા પર રાજકારણીઓના ઈશારે કોર્પોરેશનના અધિકારીઓ અને બિલ્ડરોની મિલી ભગતથી વોંકળા વેંચી નાખી અને તેના પર ગેરકાયદેસર બિલ્ડીંગો ખડકી દીધા છે ત્યારે આ દુર્ઘટના પાછળ તંત્ર જ જવાબદાર હોવાનું મનાઈ રહ્યું છે. આ ઘટના બાદ સફાળુ જાગેલ કોર્પોરેશનના અધિકારીઓએ વોંકળા પર ખડકી દેવાયેલ શિવમ કોમ્પલેક્ષ 1 અને 2ની 84 ઓફિસો અને દુકાનો તાકીદે બંધ કરાવી તપાસ શરૂ કરી છે.

Continue Reading

એડિટર ની ચોઈસ

ગુજરાત

સ્પોર્ટસ

error: Content is protected !!